નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની અમુક વાતો અભિનેતા અક્ષય કુમાર સાથેની એક મુલાકાતમાં વાગોળી હતી. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે તેમના અધિકારિક નિવાસસ્થાન ખાતે અભિનેતા અક્ષય કુમારને એક કલાકનો ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ રાજકારણ અને દેશની નહીં પરંતુ અંગત જીવન વિશેની વાતો કહી હતી.

અક્ષય કુમારે પીએમ નરેન્દ્ર મોદીને સવાલ પૂછ્યો હતો કે, જેમ કે હું મારા ઘરમાં મારી માતા સાથે રહું છું, તમારું મન કરે છે સર કે તમારી માતા, તમારા ભાઈ તમારા બધાં સંબધીઓની સાથે તમે ઘરે રહો?

નરેન્દ્ર મોદીએ આ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, હું ખૂબ જ નાની ઉંમરમાં બધું છોડી ચુક્યો છું. ખૂબ નાની ઉંમરમાં જેમ કે મારી માતા મને કહે છે, અરે ભાઈ મારી પાછળ તું કેમ સમય ખરાબ કરે છે.

પીએમે કહ્યું કે, જો હું પીએમ બનીને ઘરેથી નીકળતો તો સ્વાભાવિક છે કે મન કરતું. મેં નાનકડી ઉંમરમાં બધું જ છોડી દીધું હતું. માયા-મોહ બધું જ છોડી દીધું હતું. તેમ છતાંય ક્યારેક માતાને મળી લવું છું. પરંતુ મારા માતા કહે છે કે, તું મારી પાછળ શું કામ ટાઇમ ખરાબ કરી રહ્યો છે, હું ગામના લોકોની સાથે વાત કરી લઉં છું. જેટલા દિવસ માતા રહેતા હું શિડ્યુલમાં વ્યસ્ત રહેતો હતો.

પીએમ મોદીએ કહ્યું કે, ક્યારેય પણ એવો વિચાર નહતો આવ્યો કે પ્રધાનમંત્રી બનીશ. પ્રધાનમંત્રી તો દૂરની વાત છે જો એમને નાની નોકરી મળી જાત તો પણ એમની માતા ખુશ થઈ જાત. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જીવન ચાલતું ગયું અને પીએમ બની ગયો.