CHANDIGADH : પંજાબ વિધાનસભાની 117 બેઠકોના પરિણામો આવી રહ્યા છે. ગુરુવારે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરીમાં શરૂઆતી વલણો આમ આદમી પાર્ટીની તરફેણમાં આવતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાછળ છે. સમાચાર લખાય છે ત્યાં સુધી વહેલી સવારે શરૂ થયેલા શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ 20 બેઠકો પર આગળ હતી જ્યારે આમ આદમી પાર્ટી 340 બેઠકો પર આગળ હતી. શિરોમણી અકાલી દળ અને બસપાનું ગઠબંધન 7 બેઠકો પર જ્યારે ભાજપ-કેપ્ટનનું જોડાણ 2 બેઠક પર આગળ હતું. 


 શરૂઆતના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી આગળ નિકળતાં ભારે રાજકીય ઉત્તેજનાનો માહોલ થઈ ગયો હતો. શરૂઆતના ટ્રેન્ડ પોસ્ટલ વોટના આધારે છે તેથી તેમાં ફેરફાર થઈ શકે પણ આમ આદમી પાર્ટીની સરકાર રચાય એવા સંકેત મળી રહ્યા છે.


પંજાબમાં કોંગ્રેસ સત્તા બચાવવા માટે જૂથબંધી સહિતના પડકારોનો સામનો કરી રહી છે. બીજી તરફ અકાલી દળ 5 વર્ષ પછી સત્તામાં પરત ફરવા માટે આતુર છે. આમ આદમી પાર્ટી લોકોના મનમાં ફેરફારના ભાવને વોટમાં ટ્રાન્સફર કરીને સરકાર બનાવવાની કોશિશમાં છે. બીજી તરફ ભાજપ પણ પ્રથમ વખત પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહની સાથે મળીને મેદાનમાં ઉતરી છે.


એક્ઝિટ પોલ્સ અનુસાર, આમ આદમી પાર્ટી પંજાબમાં બહુમતીની નજીક પહોંચી શકે છે, જ્યારે કોંગ્રેસની બેઠકો પહેલા કરતા ઘણી ઓછી થવાની સંભાવના છે.
પંજાબમાં મુખ્ય મુકાબલો સત્તાધારી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળ વચ્ચે હોવાનું માનવામાં આવે છે. આમ આદમી પાર્ટીએ ભગવંત માનને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસ સીએમ ચરણજીત સિંહ ચન્નીના ચહેરા પર ચૂંટણી લડી રહી છે.