શરદ યાદવના નિવેદન પર વસુંધરાનો વળતો પ્રહાર, કહ્યું- આ તમામ મહિલાઓનું અપમાન
abpasmita.in | 07 Dec 2018 11:16 AM (IST)
જયપુરઃ પૂર્વ કેન્દ્રિય મંત્રી શરદ યાદવ દ્ધારા આપવામાં આવેલા નિવેદન પર રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ વળતો પ્રહાર કર્યો છે. રાજસ્થાનમાં આજે મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન ઝાલરાપાટનમાં મત આપવા પહોંચેલા વસુંધરાએ કહ્યું કે, શરદ યાદવે જે કહ્યું છે તે તમામ મહિલાઓનું અપમાન છે. વસુંધરાએ કહ્યું કે, આ નિવેદનથી હું સ્તબ્ધ છું. આટલો મોટો નેતા પોતાની વાણી પર સંયમ રાખી ના શકે ત્યારે ખોટું લાગે છે. ચૂંટણી અંગે તેમણે કહ્યું કે, અમે પાંચ વર્ષ વિકાસના કામ કર્યા છે. અમને આખા છે કે રાજ્યમાં અમને બહુમત મળશે. રાજસ્થાનના અલવરમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે શરદ યાદવે કહ્યું હતું કે, રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે જાડા થઈ ગઈ છે અને હવે તેમને આરામ આપવાની જરૂર છે. જોકે, વસુંધરાને તેમણે મધ્યપ્રદેશની પુત્રી ગણાવી હતી. રેલીને સંબોધિત કરતા શરદ યાદવે કહ્યું હતું કે, વસુંધરાને આરામ આપો, ખુબ થાકી ગયા છે. ખુબ જાડા થઈ ગઈ છે. પહેલાં પાતળા હતા. અમારા મધ્યપ્રદેશની પુત્રી છે. શરદ યાદવ અલવરની મુંડાવર સીટ પરથી કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવારના સમર્થનમાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા.