નવી દિલ્હીઃ એક્ઝિટ પોલ આવ્યા બાદ ભાજપ ખુશ છે. પાર્ટીના મહાસચિવ રામ માધવે કહ્યુ હતું કે, ભાજપ 2014થી મોટી જીત હાંસલ કરશે. તેમણે કહ્યું કે, ભાજપ એકલા હાથે 300 અને એનડીએ 350 બેઠકો જીતશે. રામ માધવે કહ્યું કે, નોર્થ ઇસ્ટમાં એનઆરસી અને સિટીજન ચાર્ટરને લઇને જે ગેરસમજ હતી તેને દૂર કરી દીધી હતી. અમે ત્યાં સારી બેઠકો જીતી રહ્યા છીએ. પ્રથમવાર બીજેપી પોતાના દમ પર અરુણાચલ પ્રદેશમાં સરકાર બનાવવા જઇ રહી છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ જમ્મુ કાશ્મીરમાં ત્રણ, જમ્મુની બંન્ને બેઠકો અને લદાખની બેઠકો જીતીશું.

વિપક્ષ પર હુમલો બોલતા રામ માધવે કહ્યું કે, ચૂંટણી અગાઉ દેશની જનતાએ જોયું કે, વિપક્ષી પાર્ટીઓએ કેવો ડ્રામા કર્યો હતો. આખા દેશમાં કોઇ પણ રાજ્યમાં મહાગઠબંધન બની શક્યું નથી અને ના પરિણામો બાદ બનશે. હજુ પણ તે ઇવીએમને દોષિત માનશે. પરંતુ દેશની જનતાએ પોતાનો મૂડ ચૂંટણી અગાઉ બતાવી દીધો છે. માધવે કહ્યું કે, ચંદ્રબાબુ નાયડુએ 23મે માટે નોકરી શોધી રહ્યા છે. વિપક્ષ પાસે કોઇ કામ નથી. ચૂંટણીના પરિણામો બાદ વિપક્ષ આગામી પાંચ વર્ષની રણનીતિ બનાવશે. પાર્ટીના મહાસચિવે કહ્યું કે, બંગાળના પરિણામો તમામને ચોંકાવી દેશે. બંગાળમાં બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટું સમર્થન મળ્યું છે.