અમદાવાદઃ પાટીદાર આંદોલન દરમિયાન આક્રમક નેતા તરીકે ઉભરેલાં રેશમા પટેલે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. રેશમા પટેલ લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ઉમેદવારી કરવાની જાહેરાત કરી ચૂક્યાં છે. રેશમા પટેલ હાલમાં ભાજપમાં છે પણ ભાજપ તેમને ટિકિટ આપે તેવી કોઈ શક્યતા નથી.




આ સંજોગોમાં રેશમા પટેલ એનસીપીમાં જોડાવા વિચારી રહ્યાં છે. કોંગ્રેસ સાથેની સમજૂતીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને પોરબંદર બેઠક ફાળવવામાં આવે તેવી શક્યતા છે. રેશમા NCPમાં ટિકિટની શરતે જોડાવા તૈયાર છે. એનસીપી એ માટે તૈયાર ના થાય તો રેશમા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.



રેશમા પટેલે વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. જો કે ગણતરીના મહિનાઓમાં જ તેમનો મોહભંગ થઈ ગયો છે. ભાજપ સરકારની અને પક્ષની નીતિ-રીતિ સામે બળવાખોરીના સ્પષ્ટ સંકેત આપ્યા બાદ હવે રેશમા પટેલ લોકસભાની ચૂંટણીમાં પોરબંદરમાંથી લડવા સજ્જ છે.