નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર કથિત આચાર સંહિતાના ઉલ્લંઘનને લઇને કોગ્રેસ નેતા સુષ્મિતા દેવની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણી પંચ છ મે સુધીમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહના કેસને ઉકેલ લાવે.


સુનાવણી દરમિયાન સુષ્મિતા દેવ તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, 31 દિવસોમાં બે કેસનો ઉકેલ આવ્યો છે. જો ઝડપથી તો 250 દિવસનો સમય લાગશે. 40 ફરિયાદો કરવામાં આવી છે જેમાં 20ના ઓર્ડર પાસ કરવામાં આવ્યા છે જે બીજા લોકો વિરુદ્ધ હતા પરંતુ વડાપ્રધાન મોદી અને અમિત શાહ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરાઇ નથી. છ મેના રોજ 462 બેઠકો પર મતદાન પૂર્ણ થઇ જશે.

તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે મંગળવાર અને બુધવારના રોજ આદેશ આપ્યો હતો પરંતુ અમને આદેશ મળ્યો નથી. અમને મીડિયા મારફતે ઓર્ડર મળ્યો છે. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, તમને મીડિયાથી ઓર્ડર મળ્યો કે મીડિયા માટે ઓર્ડર મળ્યો. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, આ મામલા પર હાલમાં બેઠક ચાલી રહી છે. તે ટૂંક સમયમાં કોઇ એક્શન લેશે.

કોગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે અરજી દાખલ કરી કહ્યુ હતું કે, સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને નિર્દેશ આપે કે તે 24 કલાકની અંદર વડાપ્રધાન મોદી અને અમિત શાહ વિરુદ્ધની ફરિયાદો પર નિર્ણય કરે. સુપ્રીમ કોર્ટે તેમની અરજી સ્વીકારી હતી. ફરિયાદમાં તેમણે મોદી અને અમિત શાહની હેટ સ્પીચનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચની ના છતાં રાજકીય પ્રચાર માટે વારંવાર સૈન્યનો ઉપયોગ કર્યો. તેમ છતાં ચૂંટણી પંચે કોઇ કાર્યવાહી કરી નથી.