નવી દિલ્હી: પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ પાર્ટીના નેતા જ તેની પર નિશાન સાધી રહ્યા છે. જ્યારે ત્રણ રાજ્યમાં બહુમતથી ચૂંટણી જીતનાર કૉંગ્રેસ પાર્ટીની વાહવાહી થઈ રહી છે. ભાજપના સાંસદ શત્રુધ્ન સિન્હાએ હંમેશાની જેમ આ વખતે પણ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. સિન્હાએ રાહુલ ગાંધીને આ જીત બદલ સલામ કર્યું અને કહ્યું કે હવે નક્કી કરવું જોઈએ કે ફેકુ કોણ અને પપ્પૂ કોણ છે.
છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ સત્તામાંથી બહાર થઇ ગઈ છે. હાર બાદ ભાજપ નેતાઓએજ પાર્ટી પર પ્રહાર કર્યા. હવે સાંસદ શત્રુધ્ન સિન્હાએ નામ વિના પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ‘મસલ પાવર, મની પાવર અને સૂટ-બૂટની સરકાર સાથે ઇવીએમ મશીન આ તમામ કામ આવ્યા. ખૂબ મુશ્કેલીથી ત્રણ રાજ્યના પરિણામ આવ્યા છે. તેની પાછળ ચાલ કે જાળ લોકો સારી રીતે સમજી ગયા છે. કોઈકે સાચું જ કહ્યું છે. આ જનતા છે, બધું જ જાણે છે. સિન્હાએ પૂછ્યું કે, ક્યાં ગયા અમારા અધિવક્તા, પ્રવક્તા અને વક્તા? કોઈ નજર નથી આવી રહ્યાં.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સિન્હાએ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું કે, કૉંગ્રેસે રાષ્ટ્રીય અધ્યક્ષનું નામનું એલાન લગભગ એક વર્ષ પહેલા થયું હતું. અને એક વર્ષની અંદર જ આવો જબરજસ્ત બદલાવ, ક્રાંતિકારી પરિણામ આવ્યું છે. તો આવા વ્યક્તિને સલામ કરશો કે નહીં કરો. ચારેબાજુ તેની જ વાતો થઇ રહી છે. સિન્હાએ કહ્યું કે બધા એવું કહેતા રહ્યાં છે કે ‘તે પપ્પૂ છે, હવે કરીને બતાવી દીધું. હવે નક્કી કરો કે પપ્પૂ કોણ છે અને ફેકુ કોણ છે.’