નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં રાજનીતિક પાર્ટીઓ સહિત તમામ સંગઠનો તરફથી સોશિયલ મીડિયાનો દુરુપયોગ રોકવા માટે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા કંપનીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી. જેમાં કંપનીઓને ચૂંટણી દરમિયાન ખુદને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આદર્શ આચાર સંહિતા લાગૂ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. 20 માર્ચથી સોશિયલ મીડિયા પર આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.




ફેસબુક અને ટ્વીટર સહિત અન્ય સોશિયલ મીડિયા, મોબાઈલ અને ઈન્ટરનેટ કંપનીઓના પ્રતિનીધિઓએ મંગળવારે મુખ્ય ચૂંટણી કમીશ્નર સુનીલ અરોરાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બુધવારે સાંજે જ પોતાની ઉપર આચાર સંહિતા લાગૂ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. આનાથી ચૂંટણી પંચ તરફથી સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે રાજનૈતિક દળો પર લાગુ થતી ચૂંટણી આચાર સંહિતાનું પાલન સુનિશ્ચિત થઈ શકશે.

ચૂંટણી પંચના અધિકારીઓ અનુસાર, મંગળવારે થયેલી બેઠકમાં મુખ્ય ચૂંટણી કમીશ્નર સુનિલ અરોરાએ સોશિયલ મીડિયાના પ્રતિનીધિઓને કહ્યું કે, તે મોડલ કોડ ઓફ કન્ડક્ટ હેઠળ એક કોડ તૈયાર કરે જે અગામી ચૂંટણી અને લોન્ગ ટર્મ બંનેમાં ઉપયોગ થઈ શકે. બેઠક બાદ ચૂંટણી પંચની એક ઓફિશિયલ રીલિઝમાં કહેવામાં આવ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોશિએશન ઓફ ઈન્ડીયા પૂરા ઉદ્યોગ માટે એક કોડ ઓફ એથિક્સ તૈયાર કરવા પર સહમત થયા છે.



આ બેઠકમાં ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડીયા, ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, ગૂગલ, શેરચેટ, ટિક ટોક અને બિગટીવી જેવા સામાજિક મીડિયા સંગઠનોના પ્રતિનીધિઓએ ભાગ લીધો.