નવી દિલ્હીઃ હવામાનની જાણકારી આપતી પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે 2019માં દેશમાં સામાન્યથી ઓછો વરસાદ રહેવાની આગાહી કરી છે. સ્કાઈમેટે કહ્યું કે, વિતેલા 5-6 વર્ષમાં મોનસૂન સારું નથી રહ્યું. પ્રશાંત મહાસાગરની સ્થિતિ સ્થાયી નથી, જેના કારણે જૂન-જુલાઈમાં નબળું ચોમાસું રહેવાનો અંદાજ છે. બીજી બાજુ મોનસૂન પર અલનીનોનું જોખમ પણ ઉભું જ છે, જેના કારણે ઓછો વરસાદ થઈ શકે છે.


ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જુલાઇથી સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું 91 ટકા રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી દેશમાં ચોમાસું 97 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતમાં દર વર્ષે પડતા કુલ વરસાદનો 70 ટકા વરસાદ ચોસામા દરમિયાન પડે છે. વરસાદની અછતની સૌથી ગંભીર અસર ખેતી પર પડશે.



સામાન્યથી નબળા ચોમાસાની સીધી અસર ગ્રામ્ય વસ્તી પર પડે છે. ચોમાસું સારું રહે છે તે ગ્રામ્ય વિસ્તારોના લોકોની આવકમાં વધારો થાય છે, જેના કારણે માંગમાં વધારો થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધવાની ઉદ્યોગજગત પર પણ સારી અસર પડે છે.