નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોને જાગરૂક કરવા માટે ચૂંટણી પંચ દેસભરમાં અનેક કાર્યક્રમ ચલાવી રહ્યું છે. મતદાતાઓને મતદાન માટે પ્રેરિત કરવા માટેના અભિયાનમાં વેપારી વર્ગ પણ આગળ આવી રહ્યા છે. દિલ્હીને અડીને આવેલ નોઈડામાં કેમિસ્ટ એસોસિએશને મતદાનના દિવસે મતદાતાઓને દવાઓ પર 10 ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે. તે અંતર્ગત આંગળી પર લાગેલ શાહીનું નિશાન બતાવીને 10 ટકા છૂટ આપવામાં આવશે.




મીડિયા સૂત્રોએ જણાવ્યું કે જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના અધ્યક્ષ અનુપ ખન્નાએ કહ્યું કે, મતદાતા અને તેમના દર્દીઓને દવા પર 10 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. ઉપરાંત રિપોર્ટ મુજબ વોટિંગના દિવસે દાદીની રસોઈ તરફથી પણ મફતમાં ભોજન કરાવવામાં આવશે. આ સિવાય મતદાતાઓને પ્રોત્સાહન આપવા માટે ખાનગી હોસ્પિટલોએ પણ પહેલ શરૂ કરી છે.

સૂત્રોએ જણાવ્યું કે વોટિંગના દિવસે મતદાતા વોટિંગ કર્યા બાદ ખાનગી હોસ્પિટલમાં આવી આંગળી પર સાહીનું નિશાન બતાવશે તો તેમની મફતમાં તપાસ અને સારવાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નોઈડામાં પહેલા તબક્કાના મતદાન 11મી એપ્રિલે થવાના છે. સૂત્રો મુજબ આ પહેલા શુક્રવારે ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયએશન(AIPDA)એ પણ મતદાન કરનાર લોકોને પેટ્રોલ-ડીઝલ પર છૂટ આપવાની જાહેરાત કરી હતી.