ગાંધીનગર: લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં સૌથી પેલું નામ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું હતું જેઓ ગાંધીનગરથી ચૂંટણી લડશે. જોકે કોંગ્રેસ તરફથી હાલ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. જોકે કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ હાલ ગાંધીનગરના ઉમેદવારને લઈને મૂંઝવણમાં છે. અમિત શાહને ટક્કર આપી શકે તેવા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે.




હાલના ગાંધીનગરના સમીકરણ અને સૂત્રોની વાત કરીએ તો ગાંધીનગરની બેઠકને લઈને કોંગ્રેસમાં હાલ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. થોડા દિવસ પહેલા ગાંધીનગર સીટ પરથી સી.જે.ચાવડાનું નામ નક્કી થઈ ગયું હતું. પરંતુ જેવી ભાજપે ગાંધીનગરની સીટ પરથી ખુદ અમિત શાહના નામની જાહેરાત કરી તો કોંગ્રેસ ફરી મનોમંથન કરવા મજબૂર થઈ અને નવા સમીકરણ બનાવ્યા છે.



ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેના ઉણેદવારો જાહેર થતાં કોંગ્રેસના સમીકરણમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. ભાજપે મોટાભાગના ઉમેદવારો રિપીટ કર્યા છે. આથી ભાજપે તો સેફ ગેમ રમી છે, પરંતુ હવે કોંગ્રેસ મૂંજવણમાં છે કે દિગ્ગજ નેતાઓ સામે કોને ઉતારવા. જોકે કોંગ્રેસ પણ સેફ ગેમ રમી શકે છે.



ગાંધીનગર બેઠક પર સી.જે.ચાવડા લગભગ નક્કી જ છે. પરંતુ અમિત શાહનું નામ આવતાં કોંગ્રેસ પાટીદાર નેતાની શોધ કરી રહ્યું છે. આવું કરવા પાછળ એવો તર્ક રાખવામાં આવ્યો છે કે, વર્ષ 2015 અને 2017ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરનો લાભ કોંગ્રેસને મળ્યો હતો.