અમદાવાદ: લોકસભાની 13 અને વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના દિલ્હી દરબારમાં સોમવારે સાંજે છ વાગ્યે સ્ક્રિનિંગ કમિટીની મિટિંગ બોલાવાઈ હતી. ત્યાર બાદ કોંગ્રેસે ગુજરાતના મહેસાણા બેઠક પર એ.જે.પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.




આ બેઠક બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવું સૂચક નિવેદન કર્યું હતું કે, કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓને લડાવી શકે છે. ભરૂચ બેઠક પર એહમદ પટેલને ચૂંટણી લડાવવાના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના પ્રસ્તાવને મૂક્યો હતો. સિનિયર નેતાઓને લોકસભાની ચૂંટણી લડાવવી કે કેમ તેનો ફેંસલો મંગળવારે મળનારી સીઈસીની મિટિંગમાં રાહુલ ગાંધી કરશે.



અમરેલી બેઠકનું ગુંચવાયેલું કોકડું ઉકેલવાનો કોંગ્રેસ આજે પ્રયાસ કરશે. જેની ઠુંમર, સુરેશ કોટડિયા, જે.વી.કાકડિયા ત્રણમાંથી કોને ઉમેદવાર બનાવવા તેને લઈને કોંગ્રેસ ગુંચવણમાં છે. જો કોઈ ઉમેદવાર સ્પષ્ટ ન થાય તો પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારાઈ શકે છે. જોકે ધાનાણીએ ચૂંટણી લડવા નહીં પણ અમરેલી બેઠકની ચૂંટણી જીતાડી આપવા હાઈકમાંડને વચન આપ્યું છે.



લોકસભાની 13 બેઠકો ઉપરાંત વિધાનસભાની ચાર બેઠકો માટે ઉમેદવારોના નામોને સ્ક્રિનિંગ કમિટીની મિટિંગમાં આખરી ઓપ અપાયો છે. હવે મંગળવારે સાડા ત્રણ વાગ્યે રાહુલ ગાંધીની આગેવાનીમાં સીઈસીની મિટિંગ મળશે, જેમાં ઉમેદવારોના નામ પર મ્હોર લાગશે. સૂત્રો પ્રમાણે, અમરેલી બેઠક પર છેલ્લી ઘડીએ પરેશ ધાનાણીનું નામ તો મુકાયું છે પરંતુ ધાનાણી ચૂંટણી લડવા જરા પણ રસ નથી. જોકે આ બેઠક પર કોંગ્રેસને જીતાડવાની જવાબદારી પરેશ ધાનાણી લીધી છે.


આ બેઠક પર જે.વી. કાકડિયાનું નામ તેમણે આગળ ધર્યું છે. બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતની બેઠકો પર બેથી ત્રણ દાવેદારો હતા, જેને પગલે કોંગ્રેસ ગુંચવણમાં છે. આ કારણસર પણ નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.