‘દંગલ’ને પાક.માં રીલિઝ કરવા તેમના સેંસર બોર્ડે મૂકી આ શરત, જાણો આમિરે લીધો આ નિર્ણય
સીમા પર તણાવના કારણે પાકિસ્તાને થોડા સમય પહેલા બોલીવુડ ફિલ્મોને પોતાના દેશમાં રીલિઝ ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે પછી આ બેનને પાછો પણ ખેંચી લેવામાં આવ્યો હતો. બોક્સ ઓફિસ પર સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ દંગલને પાકિસ્તાનમાં રીલિઝ નહિ કરવામાં આવે. જો કે આ નિર્ણય કોઈ રાજકારણી કે લોકોએ નહિ પણ આમિર ખાને લીધો છે.
ઉલ્લેખનીય છે કે દંગલ ફિલ્મ ભારતીય રેસલર ગીતા-બબીતા ફોગટ અને તેના પિતા મહાવીર ફોગટના જીવન પર આધારિત છે. ફિલ્મે 385 કરોડની કમાણી કરી છે. જે બે દ્રશ્યો પર પાક. સેંસર બોર્ડને આપત્તિ છે તે ફિલ્મના અંતમાં આવે છે. આમિર ખાનના પ્રવક્તાએ જણાવ્યું કે ખેલ આધારિત ફિલ્મમાં વિજેતા અને તેના જેશનું સન્માન થાય તે સ્વાભાવિક અને સારી નિયતથી કરવામાં આવ્યું છે. જો આ ફિલ્મ પાકિસ્તાનમાં રીલિઝ થઈ હોત તો તેણે 10-12 કરોડ રૂપિયા કમાયા હોત. જો કે હવે નહિ થાય અને પાઈરસી પણ થશે. પણ અમારે આ પગલું લેવું જ પડ્યું.
પ્રવક્તાના જણાવ્યા મુજબ આ દ્રશ્યો ફિલ્મની જાન છે. આમિરને લાગ્યું કે સેંસર બોર્ડની આ માગ ગેરવ્યાજબી છે. જ્યારે પાકિસ્તાન સેંસર બોર્ડના પ્રમુખ એમ.હસને કહ્યું કે, ‘આ બોર્ડનો એકમત નિર્ણય નહોતો. તેમણે એમ પણ કહ્યું કે લોકલ ડિસ્ટ્રીબ્યુટર્સ પર નિર્ભર કરે છે કે તે ફિલ્મ રીલિઝ કરવા માગે છે કે નહિ.’
જો કે પાકિસ્તાનના સેંસર બોર્ડે ગયા અઠવાડિયે એક શરત રાખી હતી તે ફિલ્મમાં ભારતીય રાષ્ટ્રગાન અને તિરંગા સાથે જોડાયેલા બે સિન હટાવી દેવામાં આવે. આમિર ખાનના પ્રવક્તાએ એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘પાકિસ્તાનમાં ઘણા ડિસ્ટ્રીબ્યુટર્સે આ ફિલ્મ રીલિઝ કરવામાં રસ બતાવ્યો હતો. પણ સેંસર બોર્ડે બે જગ્યાએ કટની માગ કરી હતી, જે પછી આમિરે દંગલને પાકિસ્તાનમાં રીલિઝ કરવાનો નિર્ણય ટાળ્યો હતો.’