PICS: પિતાને ચોરીના આરોપમાં થઈ હતી જેલ, ચાની કિટલી પર કપ ધોતા હતા સાત વર્ષના ઓમ પુરી
ઓમ પુરીનું 66 વર્ષની વયે હ્રદય રોગના હુમલાથી મુંબઈમાં નિધન થયુ છે. ‘અર્ધસત્ય’, ‘આક્રોશ’, ‘મિર્ચ મસાલા’ જેવી ફિલ્મો અને તમસ જેવી ટેલિ ફિલ્મમાં અભિનય માટે ખૂબ વખણાયેલા ઓમ પુરીને બે વાર નેશનલ અવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. ઓમ પુરીના બીજા પત્ની નંદિતા પુરીએ 2009 તેમની બાયોગ્રાફી લખી હતી. બાયોગ્રાફી 'Unlikely Hero: The Story Of Om Puri' માં ઓમ પુરીના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સાઓને વાંચો Abpasmita.in પર. અહીં વાત થઈ રહી છે તેમના બાળપણના દિવસો અને પરિવારે જોયેલા કપરા સમયની. (નંદિતા પુરી સાથે ઓમ પુરી)
ઓમ પુરી સાત વર્ષના હતા જ્યારે તેમના પિતા ભટિંડા રેલવે સ્ટોરના ઈન્ચાર્જ હતા. ત્યારે ચોરીના આરોપમાં તેમના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. ચાર મહિના માટે ઓમ પુરીના પરિવારે કપરા દિવસો વેઠ્યા હતા. આ સમયગાળામાં ઓમ પુરી તેમની મમ્મી સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે તારા દેવી આક્રંદ કરી રહ્યા હતા. બીજા મુસાફરોએ તેમની આ કહાની સાંભળી. જેમાંથી એક વ્યક્તિએ બીજા પરિવારો પાસેથી પૈસા ભેગા કરીને તેમને આપ્યા, જેથી થોડા દિવસો સુધી તેમને ખાવાનું મળી રહ્યું. મદદ કરનાર વ્યક્તિની ભલમનસાઈ માટે આભાર. પણ તારા દેવીનું દુખ ગરીબી નહોતી. તે પોતે એક સક્ષમ ખેડૂત પરિવારમાંથી આવતા હતા. અને હવે આવી રીતે લોકોની દયા પર જીવવું તેમને અપમાનજનક લાગતું.
ઓમ પુરીનો જન્મ અંબાલામાં થયો હતો. તેમની જન્મ તારીખ અંગે ઘણા મતભેદો છે. અને તેમનું જન્મનું પ્રમાણપત્ર કે દાખલો નથી. ઓમ પુરીના માતા તારા દેવી તેમને કહેતા કે તે દશેરાના બે દિવસ પછી જન્મ્યા હતા. ઓમ પુરી ટેક ચંદ પુરી અને તારા દેવીના સૌથી નાના સંતાન હતા. ઓમ પુરીને આઠ ભાઈ-બહેન હતા જેમાંથી તેમનો સૌથી મોટો ભાઈ વેદ પ્રકાશ સિવાય બધા ભાઈ-બહેન બાળપણમાં બિમારી અને અપૂરતી સારવારને કારણે મૃત્યુ પામ્યા હતા. તેમની બહેન વેદવતીના નજીકના ગામમાં લગ્ન થયા હતા અને તેને એક દિકરી પણ હતી. તે ક્યારેક મળવા પણ આવતી હતી. જો કે તેનું પણ નાની વયે નિધન થયું હતું.