મુંબઈ: થોડા સમય પહેલાં જ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ચૂંટણી સમયે જ ભારત પરત આવી હતી. તે સમયે વાત એવી હતી કે, પ્રિયંકા ચોપરા ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન માટે ભારત આવી છે. જોકે તેની ઈશિતા કુમારની અચાનક તબિયત ખરાબ થતાં લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતાં. જોકે હવે ચર્ચા છે કે, તબિયત ખરાબ હોવાને કારણે નહીં પણ ઈશિતા તથા સિદ્ધાર્થે સહમતિથી સગાઈ તોડી નાખી છે.

સૂત્રોના મતે, સિદ્ધાર્થ તથા ઈશિતા હવે સાથે નથી. ઈશિતાએ સિદ્ધાર્થ સાથેની રોકા સેરેમનીની તથા સિદ્ધાર્થ સાથેની તમામ તસવીરો ડિલીટ કરી નાખી છે. આ સાથે જ પ્રિયંકા ચોપરા તથા સિદ્ધાર્થ ચોપરાએ ઈશિતાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી છે.



હાલમાં જ ઈશિતાએ ઈન્સ્ટાગ્રામમાં રેસ્ટોરન્ટની એક તસવીર શેર કરી હતી. જેમાં કેપ્શન આપ્યું હતું, ‘ચિઅર્સ ટૂ ન્યૂ બિગનિંગ, એક કિસ સાથે જૂની યાદોને ગૂડબાય...’. આ ફોટો ઈશિતાએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અપલોડ કર્યો હતો. ઈશિતાએ શેર કરેલી તસવીર પર તેની માતા નિધી કુમારે કમેન્ટ કરી છે, ‘જૂનું પુસ્તક બંધ કર અને નવું લખ...’.

ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરીના રોજ ઈશિતા તથા સિદ્ધાર્થની રોકા સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે હાજર રહી હતી. લગ્નના થોડા સમય પહેલાં જ ઈશિતા બીમાર પડી હતી અને તેની પર સર્જરી કરવામાં આવી હતી. તે સમયે લાગતું હતું કે, હવે બંને પરિવાર લગ્નની નવી ડેટ્સ જાહેર કરશે. જોકે હવે લાગે છે કે ઈશિતા તથા સિદ્ધાર્થ અલગ થઈ ગયા છે.