નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલ આશરે 20 લાખ લોકો સંક્રમિત થયા છે. કોરોનાના કહેરમાંથી બોલિવૂડ સેલિબ્રિટી પણ બાકાત રહી નથી. એક્ટ્રેસ શ્રિયા સરને કોરોનાને લઈ એક દર્દભરી સ્ટોરી શેર કરી છે. કોરોનાના લક્ષણ બાદ પણ શ્રિયાના પતિને સ્પેનમાં સારવાર નહોતી મળી, જોકે તેના પતિની હાલતમાં સુધારો થયો છે.


એક ઈન્ટરવ્યૂમાં શ્રિયા શરને કહ્યું કે, હું મારા પતિ આંદ્રેઈ કોસ્ચિવ સાથે સ્પેનમાં રહેતી હતી. ત્યારે તેમને શરદી અને તાવ આવ્યો હતો. તેમને કોવિડ-19 જેવા લક્ષણ લાગતા હતા. જે બાદ હું તરત મારા પતિને લઈ બાર્સિલોનાની હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં ડોક્ટરોએ તેની સારવાર કરવાની ના પાડી દીધી હતી. ડોક્ટરોએ કહ્યું કે, જો આંદ્રેઈને કોરોના વાયરસ નહીં પણ થયો હશે તો અહીંયા રહેવાથી થઈ જશે. જેના કારણે તમારે અહીંયાથી જતા રહેવું જોઈએ. જે બાદ હું મારા પતિને ઘરે લઈને આવી ગઈ અને સેલ્ફ આઈસોલેટ કરી દીધી. ઉપરાંત ઘર પર જ તેમની સારવાર શરૂ કરી દીધી.

ઘરમાં અમે બંને અલગ-અલગ રૂમમાં ઉંઘતા હતા. હું તેનાથી અંતર જાળવી રાખીને સારવાર કરતી હતી. શ્રિયાના કહેવા મુજબ તેના પતિના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. લોકડાઉનના કારણે અમે બીજી એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી શક્યા નથી. તેણે જણાવ્યું કે, સ્પેનમાં લોકડાઉન દરમિયાન ઘરમાંથી એક જ વ્યક્તિ સામાન લેવા બહાર જઈ શકે છે. એક વખત હું આંદ્રેઈ સાથે બહાર ગઈ હતી. મારો પતિ ગોરો છે, જ્યારે મારો રંગ તેનાથી અલગ પડે છે. તેથી પોલીસવાળા સમજી ન શકયા કે અમે બંને સાથે છીએ અને બંનેને છોડી દીધા.

શ્રિયાએ કહ્યું કે, હું વતન ભારત ક્યારે પરત ફરીશ તે નક્કી નથી. મારા માતા-પિતા સાથે હું સતત વીડિયો કોલ દ્વારા સંપર્કમાં રહુ છું.

સ્પેન કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત થનારા દેશો પૈકીનો એક છે. અહીંયા 1.70 લાખથી વધારે દર્દી સામે આવી ચુક્યા છે. જ્યારે 18 હજાર લોકોના મોત થયા છે.