મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું કે, તે કોઈપણ ધર્મ સાથે સંબંધ નથી રાખતા. તેમણે આ વાત કૌન બનેગા કરોડપતિની સીઝન 11માં ગાંધી જયંતી પર ખાસ એપિસોડના શૂટિંગ દરમિયાન કહી છે. અમિતાભ બચ્ચનનું આ નિવેદન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. શોમાં અમિતાભ પોતાના ઉપનામને લઈને મોટો ખુલાસો કર્યો છે.


તેમણે કહ્યું કે, મારું ઉપનામ ‘બચ્ચન’ કોઈ ધર્મ સાથે સંબંધિત નથી કારણ કે મારા પિતાજી તેની વિરુદ્ધ હતા. મારી સરનેમ શ્રીવાસ્તવ હતી પણ અમે ક્યારેય તેમા વિશ્વાસ રાખ્યો નથી. મને એ કહેતા ગર્વની લાગણી થાય છે કે, હું આ પરિવારનું નામ જાળવી રાખનારો પ્રથમ માણસ છું.

તેમણે આગળ કહ્યું, ‘જ્યારે હું કિન્ડરગાર્ડનમાં એડમિશન લઈ રહ્યો હતો ત્યારે મારા પિતાને તેમની સરનેમ પૂછવામાં આવી ત્યારે તેમણે નક્કી કર્યું કે, મારી સરનેમ ‘બચ્ચન’ હશે. જ્યારે વસ્તી ગણતરી માટે મારે ત્યાં કર્મચારી આવે છે અને મને મારા ધર્મ વિશે પૂછે છે તો હું હંમેશાં તેમને એ જ જવાબ આપું છું કે, મારો કોઈ ધર્મ નથી, હું ભારતીય છું.’

તેમણે કહ્યું, ‘મને એ કહેવામાં કોઈ શરમ નથી કે, મારા પિતાજી પોતાની આસપાસ હાજર દરેકનું સન્માન કરતા હતા. અમારે ત્યાંથી પરંપરા અનુસાર, હોળી દરમિયાન સૌથી મોટા અને સન્માનિત વ્યક્તિના પગમાં રંગ નાખી તહેવારની શરૂઆત કરવામાં આવતી હતી. ઉજવણી પહેલા મારા પિતા હરિવંશ રાય બચ્ચન તે વ્યક્તિના પગમાં રંગ નાખતા હતા, જે શૌચાલયોની સફાઈ કરતા હતા.’