મુંબઈ: કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં યથાવત છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસની પુષ્ટી થતા બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ચિંતિત છે. તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તાહિરા માસ્ક પહેરેલી જોવા મળી રહી છે.


તાહિરાએ પોતાની માસ્ક સાથેની તસવીર શેર કરતા લખ્યું, 'દિલ્હીની ટ્રિપ. હું જેવી એરપોર્ટની અંદર દાખલ થઈ ને જોયું કે દરેક લોકો માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. આ જોઈને જ મને ગભરામણ થઈ હતી. આપણે કેવી રીતે રહીએ છીએ? આપણી ધરતીને શું થયું છે ? મારી આ ગભરામણ પેનિક એટેકમાં બદલાય એ પહેલાં મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો હતો. કોઈના ચહેરા નથી દેખાતા, કોઈને વાત કરતા કે સ્માઇલ કરતા નથી જોઈ શકતી. કોઈની એક છીંકથી પણ લોકો ચિંતામાં આવી જાય છે. આ જોવું ખરેખર ડિસ્ટર્બિંગ છે. એક તરફ કોરોના વાઇરસ છે અને એક તરફ દંગા થઈ રહ્યા છે. મને એટલી ખબર છે કે આપણે બધા સાથે પ્રાર્થના કરીશું તો એ સાંભળવામાં આવશે અને આપણે એની જ આશા રાખી શકીએ છીએ.'

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. યુનિયન હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધનના જણાવ્યા મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 25 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.