નવી દિલ્હીઃ બાહુબલીના ફિલ્મમેકર એસએસ રાજામૌલી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રાજામૌલીએ ટ્વિટ કરીને જાણકારી આપી કે મારો અને મારા પરિવારનો કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજામૌલીના આ ટ્વિટ બાદ ફિલ્મ સ્ટાર્સ અને ફેન્સ જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવા લાગ્યા હતા.


રાજામૌલી અને તેના પરિવારને તાવ આવતો હતો. જે બાદ તેમણે ટેસ્ટ કરાવવાનો ફેંસલો લીધો. ટ્વિટર પર રાજામૌલીએ જણાવ્યું, સામાન્ય તાવ બાદ તેમણે કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો. હાલ અમે હોમ કોરન્ટાઈન છીએ.



અન્ય એક ટ્વિટમાં રાજામૌલીએ લખ્યું, હાલ અમે તમામ સારું અનુભવી રહ્યા છીએ અને કોઈ લક્ષણ નથી. તેમ છતાં અમે સૂચનાનું પાલન કરી રહ્યા છીએ. પ્લાઝમા દાન કરી શકાય તે માટે એન્ટીબોડીઝ વિકસે તેની રાહ જોઈ રહ્યા છીએ.

રાજામૌલી હાલ ફિલ્મ આરઆરઆરમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રામચરણ, આલિયા ભટ્ટ, અજય દેવગન અને શ્રેયા સરન મહત્વના રોલમાં છે. પહેલા આ ફિલ્મ ચાલુ વર્ષે જુલાઈમાં રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનના કારણે શૂટિંગ બંધ રહેતા આ ફિલ્મ હવે જાન્યુઆરીમાં રિલીઝ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.