મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વિશ્વભરમાં તેમની પરફેક્ટ જોડી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બીજેપીના ધારાસભ્યએ આ કપલને છૂટાછેડા લેવાની સલાહ આપી છે.


ભાજપ ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, વિરાટ  કોહલી દેશ ભક્ત છે, દેશ માટે રમે છે. તેણે અનુષ્કાને તાત્કાલિક છૂટાછેડા આપી દેવા જોઈએ. નિશ્ચિત રીતે આમાં તેનો કોઈ રોલ નહીં હોય, ન તો આ પ્રકારના કોઈ મામલામાં સામેલ હશે.

નંદકિશોર ગુર્જરે કહ્યું, અનુષ્કાએ આ વેબ સીરિઝ બનાવીને રાષ્ટ્રદોહનું કામ કર્યુ છે. જેને લઈ તેના પર કાર્યવાહી થવી જોઈએ. આ પહેલા રાસુકા અંતર્ગત કાર્યવાહી કરાવની માંગ લઈ કહ્યું હતું કે, પાતાલ વોક વેબ સીરિઝ લાલકૃષ્ણ વાજપેયી નામના અપરાધી સાથે સંબંધ ધરાવતા નેતા સાથે એક માર્ગનું ઉદ્ઘાટન કરતી મારી અને અન્ય બીજેપી નેતાની તસવીર દર્શાવવામાં આવી છે. હું હાલ ભાજપનો ધારાસભ્ય છું અને મારી મંજૂરી વગર મારી તસવીરનો ઉપયોગ પાતાલ લોક વેબ સીરિઝમાં કરીને રાષ્ટ્રદોહનું કાર્ય કર્યુ છે.

શું છે મામલો

અનુષ્કા શર્માના પ્રોડક્શન હેઠળ બનેલી અમેઝોન પ્રાઇમ સીરિઝ પાતાલ લોક રિલીઝ થઈ ત્યારે દર્શકોએ ખૂબ પસંદ કરી તો તેને લઈ વિવાદ પણ થયો. વેબ સીરિઝમાં ગાઝિયાબાદથી રાજયસભા સાંસદ અનિલ અગ્રવાલની તસવીરનો ઉપયોગ તેમની મંજૂરી વગર કરવામાં આવ્યો હતો. વેબ સીરિઝના કંટેંટને લઈ અનુષ્કા શર્મા સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.