નવી દિલ્હીઃ એક્ટર  અને પ્રોડ્યુસર અજય દેવગન લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર ફિલ્મ બનાવશે. મલતી માહિતી પ્રમાણે, ફિલ્મમાં અથડામણમાં ચીનની સેના સાથે મુકાબલા કરવા દરમિયાન શહીદ થયેલા 20 જવાનોના બલિદાન કહાની હશે. ફિલ્મનું નામ અને કાસ્ટ હજી નક્કી થયા નથી.


ફિલ્મ ક્રિટીક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું, અજય દેવગન ગલવાન ઘાટી વિવાદ પર ફિલ્મ બનાવશે. ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. ફિલ્મમાં ભારતીય સેનાના 20 જવાનોનું બલિદાન બતાવવામાં આવશે. ફિલ્મની કાસ્ટ હજુ સુધી ફાઇનલ નથી થઈ.



15 જૂને લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીનની સેના અને ભારતીય સેના વચ્ચે હિંસાત્મક અથડામણ થઈ હતી. જેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. 1975 બાદ પ્રથમ વખત ભારત-ચીન સેના વચ્ચે આવી અથડામણ થઈ હતી. 1975માં ચીનની સેનાના જવાનોએ અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેનાની ટુકડી પર હુમલો કર્યો હતો.

અજય દેવગન 'ભુજઃધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' ફિલ્મમાં લીડ રોલમાં નજરે પડશે. લોકડાઉનના કારણે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિંહા, નોરા ફતેહી, એમ્મી વિર્ક, પ્રણિતા સુભાષ, શરદ કેલકર સહિત અનેક મોટા એક્ટર નજરે પડશે. ફિલ્મને અભિષેક દુધૈયાએ ડાયરેક્ટ કરી છે.