મુંબઈ: આંધ્ર પ્રદેશમાં તિરુમાલાના તિરુપતિ બાલાજી મંદિરે અભિનેત્રી જાહ્નવી કપૂર દર્શન કરવા પહોંચી હતી. જાહ્નવી કપૂરે મંદિર જવા માટે ખુલ્લા પગે 12 કિમીની તિરુમલાના પહાડ પર બનેલી 3500 સીડીઓ ચઢી હતી. ત્યાર બાદ તેણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કરી આશિર્વાદ લીધા હતાં. ખુલ્લા પગે મંદિર જતી અભિનેત્રીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જાહ્નવી કપૂરે એક દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી હતી. જેમાં તે સફેદ સલવાર શૂટ અને યલો દુપટ્ટામાં જોવા મળી હતી. આ સાથે તેણે સિલ્વર કલરના ઝુમખાં પહેર્યાં હતા. જાહ્નવી કપૂર અને તેમના પરિવારને તિરુપતિ મંદિરમાં ખુબ જ આસ્થા ધરાવે છે. આ પહેલા પણ તે ફિલ્મ ‘ધડક’ની સફળતા માટે અહીં આવી હતી તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર હવે ગુંજન સક્સેનાની બોયોપિક ‘કારગિલ ગર્લ’માં જોવા મળશે. આ સાથે ‘રૂહીઆફ્ઝા’, ‘તખ્ત’ અને ‘દોસ્તાના 2’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. ઘણાં રિપોર્ટસ મુજબ, જાહ્નવી એક સાઉથની ફિલ્મ પણ કરી શકે છે. તેની અપોઝિટ અર્જુન રેડ્ડી સ્ટાર વિજય હશે. આ ફિલ્મનું નામ ‘ફાયટર’ હોઈ શકે છે.