નવી દિલ્હી: પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસોથી જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી, જોકે આજે બપોરે 12:07 મીનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. જેટલીના નિધન પર દેશભરમાં શોકનો માહોલ છે. દિગ્ગજ નેતાઓ સહિત ક્રિકેટરો અને બોલિવૂડ હસ્તિઓ જેટલીને યાદ કરી રહ્યાં છે.


બોલિવૂડ સ્ટાર અજય દેવગણથી લઈ અનિલ કપૂર, કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ જેટલીને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

અજય દેવગણે ટ્વીટ કરી લખ્યું કે, “અરૂણ જેટલીજીના નિધનથી દુખી છું. દેશ માટે તેમની ગતિશીલ દ્રષ્ટિનો પ્રશંસક રહ્યો. તે એક એવા નેતા હતા જેમની સાથે વાત કરતા આનંદ થતો હતો. આ દુખના અવસર પર મારી સહાનુભૂતિ તેમના પરિવાર સાથે છે.”


અનિલ કપૂરે લખ્યું કે, ‘20 વર્ષ પહેલા મે અરૂણ જેટલીજીને પ્રથમવાર મળ્યો હતો અને ત્યારથીજ તેમનો પ્રશંસક થઈ ગયો હતો. તેમના નિધનથી દેશમાં મોટી ખોટ વર્તાશે. તેઓ હંમેશા યાદ રહેશે. પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ છે.’


સિદ્ધાર્થ મલ્હોત્રાએ ટ્વિટ કરી કહ્યું કે, ‘ભગવાન તમારી આત્માને શાંતિ આપે. તમારા નિધનથી દેશમાં એક ખાલીપણું આવી ગયું છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.’


આ સિવાય અનેક ફિલ્મી હસ્તીઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી છે.