મુંબઈ: મહાનાયક અમિતાભ બચ્ચ બાદ અભિષેકે પણ કોરોનાને મ્હાત આપી છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા 28 દિવસ બાદ અભિષેકને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પુત્ર અભિષેકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા બીગ બી ઘણા ખુશ છે, તેમણે વેલકમ નોટ લખવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. અમિતાભે ટ્વિટ કરીને લખ્યું કે, “વેલકમ હોમ ભૈયું.”


અમિતાભે અન્ય એક ટ્વીટ કરી કે, “અભિષેકની કોરોના રિપોર્ટ નેગેટિવ આવી છે. તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધાં છે. હવે ઘર આવવા માટે નીકળી ગયા છે. ભગવાન મહાન છે. પ્રાર્થના અને દુઆઓ માટે આપ સૌનો આભાર.”

રિપોર્ટ નેગેટિવ આવતા અભિષેકે ટ્વિટ કરીને આ વાત તમામ સાથે શેર કરી છે. હવે બચ્ચન પરિવાર કોરોના નેગેટિવ થઈ ગયો છે.

અભિષેકે ટ્વિટ કરીને લખ્યું, “આજે બપોરે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને લોકોને કહ્યું હતું કે, હું તેને હરાવી દઈશે. મારી અને મારા પરિવારની દુઆ માટે તમામનો આભાર. નાણાવટી હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે જે કંઈ કર્યું તેના માટે દિલથી આભાર.”

અભિષેક બચ્ચન 11 જુલાઈની સાંજે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયો હતો. 28 દિવસ બાદ અભિષેક બચ્ચન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. તે સોશિયલ મીડિયા પર સતત હેલ્થ અપડેટ્સ શેર કરતો હતો. અભિષેક પહેલા 2 ઓગસ્ટના રોજ અમિતાભ બચ્ચન કોરોના નેગેટિવ થઈને ઘરે પહોંચ્યા હતા.