મુંબઈ: તાજેતરમાં જ રીલિઝ થયેલી અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ 4’ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘મરજાવાં’ના સાઉન્ડ ટેક્નિશિયનનું બ્રેઈન હેમરેજને કારણે મોત નિપજ્યું હતું. ઘણી હિટ ફિલ્મોમાં સાઉન્ડ રિલેટેડ કામ કરનાર યુવાન અને ટેલેન્ટેડ નિમિશ પિલનકરને હાઈ બ્લડ પ્રેશરને કારણે બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું અને આ જ કારણે તેનું મોત નીપજ્યું હતું.

નિમિશ હાલમાં એક વેબ સીરિઝ માટે કામ કરી રહ્યો હતો. તે દિવસ-રાત કામને પૂરું કરવામાં લાગેલો હતો. વધારે પડતા કામને લીધે તેની તબિયત લથડી અને દિમાગની નસો ફાટી ગઈ હતી તેવું કહેવામાં આવી રહ્યું છે.

આ વાત ત્યારે બહાર આવી જ્યારે જાણીતા ફિલ્મકાર અને પત્રકાર ખાલિદ મોહમ્મદ નિમેશની મોત સંબંધિત એક ટ્વીટ કર્યું હતું. એક ખાનગી વેબસાઈટ પ્રમાણે, આ ટ્વીટનો ઉલ્લેખ કર્યો છે અને સૂત્રોના હવાલેથી કહ્યું હતું કે, નિમેશ પર કામનો વધારે પડતો બોજ હતો અને તે જ તેના મોતનું કારણ બન્યું.

નિમેશ માત્ર 29 વર્ષનો હતો. ખાલિદે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, સાઉન્ડ ટેક્નિશિયન નિમેશ પિલનકરનું 29 વર્ષની વયે મોત નિપજ્યું હતું. આ ટેક્નિશિયનો જ હિન્દી સિનેમાના રીડનું હાડકું હોય છે પણ આની પરવા કોને હોય છે? તમામ સંગઠનો, સ્ટાર્સ અને નિર્માતાઓ માટે આ જાગી જવાનો સમય છે.

ખાલિદના આ ટ્વીટ પર રેસુલ પૌકુટ્ટીએ પણ લખ્યું છે. ઓસ્કાર વિનર રેસુલે કહ્યું હતું કે, ધન્યવાદ, આ વિશે વાત કરવા બદલ. ડિયર બોલિવૂડ, અસલ દુનિયામાં અમારે બીજા કેટલાંય સમાધાન કરવા પડશે. આનો જવાબ બનીને મારો દોસ્ત તો જતો રહ્યો.