Jacqueline Fernandez Bail: બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને આજે દિલ્હી કોર્ટમાંથી મોટી રાહત મળી છે. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે જેકલીનની જામીન અરજી સ્વીકારી લીધી છે, હાલ અભિનેત્રી વચગાળાના જામીન પર રહેશે. હવે આ મામલે નિર્ણય 15 નવેમ્બરે આવી શકે છે. જણાવી દઈએ કે જેકલીનને કોર્ટમાંથી આપવામાં આવેલ વચગાળાના જામીન 10 નવેમ્બરના રોજ પૂરા થઈ ગયા હતા.






EDએ જામીનનો વિરોધ કર્યો હતો


તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેકલીનના જામીનનો સતત વિરોધ કરી રહ્યું હતું. EDએ કહ્યું કે જામીન મળ્યા બાદ અભિનેત્રી પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અને વિદેશ પણ ભાગી શકે છે. તેના પર જેકલીનના વકીલે દલીલ કરી હતી કે અભિનેત્રી તેને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે.


કોર્ટે પૂછ્યું કે શા માટે અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી નથી


ગુરુવારે પણ આ મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રી દિલ્હીની પટિયાલા કોર્ટમાં પણ હાજર રહી હતી. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે EDને સવાલ કર્યો હતો કે જ્યારે અભિનેત્રીને લુકઆઉટ નોટિસ મોકલવામાં આવી ત્યારે તેની ધરપકડ શા માટે કરવામાં ન આવી. આ પછી કોર્ટે જેકલીનની જામીન અરજી પર નિર્ણય 11 નવેમ્બર સુધી સુરક્ષિત રાખ્યો હતો.


જેકલીન પર શું છે આરોપ


200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુરેશને મળ્યાના 10 દિવસમાં જ જેકલીનને તેના ગુનાહિત ઇતિહાસ વિશે જણાવવામાં આવ્યું હોવાનો આરોપ છે. આમ છતાં અભિનેત્રી તેના સંપર્કમાં રહી અને મોંઘી ભેટ લેતી રહી. હાલ આરોપી સુકેશ ચંદ્રશેખર જેલના સળિયા પાછળ છે. સુકેશ પર આરોપ છે કે તેણે પ્રભાવશાળી લોકો સહિત ઘણા લોકોને છેતર્યા છે.


17 ઓગસ્ટે EDએ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જેકલીન પણ 200 કરોડની રિકવરી કેસમાં આરોપી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં અનેક સાક્ષીઓ અને પુરાવાઓને આધાર બનાવવામાં આવ્યા હતા. આ પછી કોર્ટે તેમને સમન્સ પાઠવ્યા હતા. જેકલીનને મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવાયા બાદ તેના વકીલે જામીન અરજી દાખલ કરી હતી.