Mumbai Drugs Case: એન્ટી ડ્રગ્સ એજન્સી NCBને આર્યન ખાન સાથે જોડાયેલા કેસમાં ઘણી ખામીઓ મળી છે. NCB વિજિલન્સની વિશેષ તપાસ ટીમે તેનો રિપોર્ટ દિલ્હી હેડક્વાર્ટરને મોકલી દીધો છે. NCB સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ યોગ્ય રીતે થઈ નથી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે અધિકારીઓ તે સમયે કામ કરી રહ્યા હતા તેઓ હજુ પણ કામ કરી રહ્યા છે, તેમના કામમાં ઘણી ખામીઓ હતી જે આ તપાસ દરમિયાન સામે આવી છે.


એનસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં પુરાવાનો અભાવ હોવા છતાં તપાસ કરવામાં આવી રહી છે અને મામલાને આગળ વધારવામાં આવી રહ્યો હતો. આ કેસમાં 4 વખત 65 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, તેનું કારણ એ છે કે આ લોકો વારંવાર તેમના નિવેદન બદલતા હતા. આ કારણે ઘણા લોકોના નિવેદન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યા છે.


સ્પેશિયલ ઈન્કવાયરી ટીમના રિપોર્ટમાં શું છે?


આ કેસની તપાસ દરમિયાન ટીમ સમક્ષ કેટલીક એવી બાબતો સામે આવી છે જેમાં અન્ય કેસની તપાસમાં પણ ખામીઓ હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ તમામ કેસમાં રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં પૈસાની લેવડદેવડ કરવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ એંગલમાં તપાસ હજુ પૂર્ણ થવાની બાકી છે કારણ કે ફરિયાદીએ પોતાનો જવાબ બદલી નાખ્યો છે.


NCBના અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાઈ


આ કેસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આર્યન ખાનને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આવું કેમ કરવામાં આવ્યું તે હજુ એક કોયડો છે. NCBની તપાસ ટીમને આ કેસમાં 7 થી 8 NCB અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ લાગી છે. જેના માટે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ બે કેસમાં આ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે.


આર્યન ખાનને ક્લીનચીટ મળી છે


આ વર્ષની શરૂઆતમાં, બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને એનસીબીએ ક્લીનચીટ આપી હતી. NCBને આર્યન અને અન્ય પાંચ લોકો સામે પૂરતા પુરાવા મળ્યા નહોતા.