નવી દિલ્હીઃ આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'પાનીપત' રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મની કહાની દર્શકોને ખુબ ગમી રહી છે. બૉક્સ ઓફિસ પર 'પાનીપત' સારી કમાણી કરી છે. અર્જૂન કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મની કહાની એક ઐતિહાસિક ઘટના પર આધારિત છે, જેના કારણે તે હવે વિવાદોમાં ફસાઇ છે. ખાસ કરીને રાજસ્થાનમાં ગલી ગલીએ આ ફિલ્મનો પુરજોશમાં લોકો વિરોધ-પ્રદર્શન કરી રહ્યાં છે.


રાજસ્થાનના લોકોનુ માનવું છે કે ફિલ્મ 'પાનીપત'માં મહારાજા સૂરજમલને લાલચી શાસક બતાવવામાં આવ્યો છે. જેના કારણે રાજસ્થાનમાં લોકો આનો ખુબ વિરોધ કરી રહ્યાં છે. ઉપરાંત ફિલ્મમાં સૂરજમલનો બ્રજ ઉપરાંત અન્ય ભાષા બોલવાનો પણ વિરોધ થઇ રહ્યો છે.



એટલુ જ નહીં ઇતિહાસકાર પણ ફિલ્મ પર આરોપ લગાવી રહ્યાં છે કે, 'પાનીપત'માં મહારાજા સૂરજમલના પાત્રને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ છે, જે યોગ્ય નથી. ખરેખરમાં આ પાત્રને ઇતિહાસ પ્રમાણે દર્શાવવુ જોઇતુ હતુ.


કેટલાક નેતાઓ પણ આ ફિલ્મનો રાજસ્થાનમાં વિરોધ કરી રહ્યાં છે. આ મામલે હવે રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોએ આંદોલન કરવાની પણ ચિમકી આપી છે. તેમની માંગ છે કે ફિલ્મમાં યોગ્ય રીતે પાત્રોને બતાવવામાં આવે.