'પદ્માવતી-અલાઉદ્દીન વચ્ચે રોમાન્સ બતાવાયો તો થીયેટર સળગાવી દઈશું', કોણ આપી આ ધમકી?
હવે નવો વિવાદ જયપુરના રાજપૂતના સંઘ નામના સંગઠનને કારણે થયો છે. આ સંઘે ખુલી ધમકી આપી છે કે રિલીઝ કરતાં પહેલા પદ્માવતી ફિલ્મ તેમને બતાવવામાં આવે. જો આમ કરવામાં નહીં આવે તો ફિલ્મને રિલીઝ નહીં થવા દે અને થીએટરમાં કોઈપણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી તેમની નહીં રહે.
આ પહેલા પણ પદ્માવતીનું ટ્રેલર રિલીઝ થવાનું હતું ત્યારે પણ આ વિવાદ સામે આવ્યો હતો. રાજપૂતાના સંગઠનોમાં ફિલ્મમાં રાણી પદ્માવતીના ચરિત્રને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવતા રાજસ્થાનમાં બનેલ સેટમાં તોડફોડની સાથે મારપીટ જેવી ઘટના પણ બની હતી.
જય રાજપૂતાના સંઘે ધમકી આપતા કહ્યું કે, અમારા ધર્મ અને દેશની સંસ્કૃતિ બચાવવા માટે તેના 2.5 લાખથી વધારે કાર્યકર્તાઓ તલવારથી લઈને એકે-47 ચલાવવામાં સમર્થ છે.
જય રાજપૂતાના સંઘના પ્રમુખ ભંવર સિંહ રેતાએ મીડિયાને જણાવ્યું કે, તે હિન્દુ ધર્મનું અપમાન સહન નહીં કરે. ફિલ્મમાં ભારતીય ઈતિહાસ સાથે છેડછાડ અને રાણી પદ્માવતીના લૂટેરા અલાઉદ્દીન ખિલજી સાથેના પ્રેમ સંબંધ બતાવવામાં આવશે તો અમે થીયેટર સળગાવી દઈશું.
ડિસેમ્બરમાં રિલીઝ થનારી બોલીવુડની બહુપ્રતિક્ષિત ફિલ્મ પદ્માવતી રિલીઝ થતાં પહેલા જ વિવાદોમાં ઘેરાતી જોવા મળી રહી છે. દરરોજ કોઈને કોઈ કારણોસર ફિલ્મ ચર્ચામાં રહી છે.