મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને મોડી રાત્રે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. બચ્ચન પરિવારના તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન સહિત પરિવારના અન્ય સભ્યો કોરોના નેગેટિવ આવ્યા છે.


અમિતાભ બચ્ચને ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી કે, તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, તેમના પરિવાર અને સ્ટાફની પણ કોરોના વાયરસ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

અભિષેક બચ્ચને ટ્વિટ કરીને કહ્યું કે, મારો અને મારા પિતાનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હળવા લક્ષણોવાળા સાથે અમારા બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમારા પરિવાર અને કર્મચારીઓનું તમામનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હું તમામને વિનંતી કરું છું કે ગભરાશો નહીં શાંત રહો. આભાર.

અમિતાભે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર અપીલ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકો કોરોનાનો ટેસ્ટ તાત્કાલિક કરાવી લે.