મુંબઈઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવીને જાણીતી થયેલ એક્ટ્રેસ દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શોમાંથી ગાયબ છે. મેટરનિટી લીવ પર ગયા બાદ તે શોમાં પરત ફરી નથી. ઘણી વખત દિશાના શોમાં પરત ફરવાના અહેવાલ આવ્યા છે. પરંતુ દર્શકોને નિરશા જ હાથ લાગી છે. હવે ફરી એક વખત દિશાના તારક મેહતામાં પોતાના ઓનસ્ક્રીન પતિ જેઠાલાલ માટે પરત ફરવાના અહેવાલ છે.


અહેવાલ છે કે, દિશા વાકાણી એક એપિસોડ માટે શોમાં વાપસી કરી શકે છે. જ્યાં તે પોતાના પતિ જેઠાલાલ સાથે વીડિયો કોલ પર વાત કરતી જોવા મળશે. અપકમિંગ એપિસોડમાં બાઘા જેઠાલાલને પોતાના સપના વિશે જણાવશે. બાઘાના સપના અનુસાર, જેઠાલાલ બીમાર થઈને પથારીમાં પડ્યા હોય છે. બાઘા જેઠાલાલને ડરાવતા કહેશે કે તેમનું સપનું હંમેશા સાચું પડે છે.

આવી સ્થિતિમાં જેઠાલાલ વિચારે છે કે કદાચ દયાબેન તેની સારસંભાળ રાખવા માટે ત્યાં હોત. જો બાઘાનું આ સપનું હકીકત બની જાય તો દર્શકો ફરી એકવાર દયાબેનને જોઇ શકશે. ફેન્સનું કહેવું છે કે, બાઘાનું સપનુ મેકર્સ તરફતી દિશા વાકાણીની વાપસીનો સંકેત છે. જણાવી દઇએ કે દિશા વાકાણીની ગેરહાજરીથી શૉની ટીઆરપી પર ઘણી અસર થઇ છે.

આ વચ્ચે શૉમાં અન્ય એક પાત્રએ પણ શૉને અલવિદા કહી દીધું છે. બાવરીના રોલથી ફેમસ થયેલી એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ ઓછી ફી મળવાના કારણે શૉને અલવિદા કહી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર તે પોતાની ફીથી સંતુષ્ટ ન હતી. તેણે મેકર્સ સાથે ફીને લઇને વાત પણ કરી હતી. પરંતુ તેનું કોઇ નિવારણ ન આવતાં આખરે તેણે શૉ છોડવાનો નિર્ણય લીધો.