મુંબઈઃ ટીવીના જાણીતા શોમાંથી એક એવા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી એટલે કે દયાબેનની વાપસીના સંકેત મળી રહ્યા હતા અને અહેવાલ આવ્યા હતા કે હવે શોના મેકર્સ અને દયાબેનની વચ્ચે બધુ બરાબર થઈ ગયું છે. પરંતુ પરંતુ વિંકવિલામાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ પહેલાની જેમ જ આ વખતે પણ દિશાના પતિ ખુશ નથી અને શોમાં તેની વાપસીને સતત ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.


મળતી માહિતી મુજબ દિશા શોમાં પરત ફરવા માટે તમામ પ્રયત્ન કરી રહી છે. મેકર્સ પણ તેની માગ અનુસાર એડજસ્ટ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દિશા વાકાણીનો પતિ મયુર કોઈ વાતે માનવા તૈયાર નથી. દિશાની અન્ય માગ ઉપરાંત મેકર્સે તેને દિવસમાં ત્રણ કલાક જ કામ કરવાનો આશ્વાસન આપ્યું છે અને દીકરી સ્તુતિ માટે અલગથી રુમ ફાળવવાની પણ વાત કરી છે.



જોકે, મયુર પડિયા હજી પણ ના જ પાડે છે. મેકર્સ લાંબા સમયથી દિશાને મનાવવાના પ્રયાસો કરે છે પરંતુ હજી સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. દિશા શોમાં પરત ફરવા ઉત્સુક છે પરંતુ લાગે છે કે હજી ખાસ્સો સમય લાગશે.

દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી શોમાં જોવા મળતી નથી. તેણે વર્ષ 2017મા મૅટરનિટી લીવ લીધી હતી. દિશાના પતિને ફી તથા કામના કલાકોને લઈ વાંધો હતો અને તેથી જ તે હજી સુધી શોમાં પરત ફરી નથી.