મુંબઈ: બૉલિવૂડ એક્ટર ગોવિંદાએ થોડા દિવસ પહેલા ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેને જેમ્સ કેમરુની બ્લોકબસ્ટર ફિલ અવતારની ઓફર મળી હતી. પરંતુ તેણે આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ગોવિંદાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગોવિંદાએ ટ્રોલર્સને આકરો જવાબ આપ્યો છે.


બોમ્બે ટાઇમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદાએ ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે, “હું સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી પણ મારી દિકરી મને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વસ્તુઓ વિશે જાણકારી આપતી રહે છે. મને એ વાતનો કોઈ જ ફરક નથી પડતો કે લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે ગોવિંદા જેવા કોઈ શખ્સ જેમ્સ કેમરૂનની ફિલ્મની ઓફર કઈ રીતે નકારી શકે છે. હું સમજી શકું કે આ બધી વસ્તુઓ ક્યાંથી પેદા થઈ રહી છે. હું એ વિચારોની ઇજ્જત કરું છું. લોકોને પોતાના વિચારો રજૂ કરવાનો હક છે. પરંતુ તેવું વિચારવું ખોટું છે કે ગોવિંદાને આ ફિલ્મ કઈ રીતે ઓફર થઈ શકે. એવું નથી કે મારી ઔકાત નથી. આ એક પક્ષપાત કરનારો વ્યવ્હાર છે.”

ગોવિંદાએ વધુમાં કહ્યું કે ‘ચા વાળો આગળ કઈ રીતે વધી શકે છે ? ટીવી એન્કર્સ ફિલ્મમાં કઈ રીતે આવી શકે છે ?  આ સૂપિરિયૉરિટિ કૉમ્પ્લેક્સ છે. આ ખોટું છે. તમને વિશ્વાસ નથી થતો તો ના કરો પણ આ પ્રકારની વાતો ના કરો.’

ગોવિંદાએ એક ખુલાસો કરતા કહ્યું છે કે હૉલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર’ તેને ઓફર થઈ હતી. પંરતુ તેણે રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. અને જેમ્સ કેમરોનને આ ફિલ્મનુ નામ પણ તેણે સૂચવ્યું હતું.