મુંબઈ: લોકપ્રિય સંગીતકાર મોહમ્મદ ખય્યામને આજે મુંબઈમાં પૂરા રાજકીય સમ્માન સાથે અંધેરીના ચાર બાંગ્લા સ્થિત દફન કરવામાં આવ્યા હતા. રાજકીય સમ્માન દરમિયાન ત્રણ રાઉન્ડ ફાઈરિંગ કરવામાં આવ્યું હતું. ખય્યામને આશરે 4 વાગ્યે દફન કરવામાં આવ્યા હતા. સોમવારે 92 વર્ષની વયે મુંબઈમાં તેમનું નિધન થયું હતું. હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પૂનમ ધિલોન, સોનુ નિગમ, રઝા મુરાદ ગુલઝાર સહિતની બોલીવૂડ હસ્તીઓએ હાજરી આપી હતી.


તલત અઝીઝ અને સોનુ નિગમે તેમના જનાજાને કાંધ આપી હતી. આ દરમિયાન સંગીતકાર આનંદજી ભાઈ, ગીતકાર ઈરશાદ કામિલ, ગાયલ નિતિન મુકેશ, સંગીતકાર ઉત્તમ સિંહ પણ હાજર રહ્યા હતા.

'પદ્મભૂષણ' ખિતાબથી સમ્માનિત ખય્યામે ‘કભી-કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’, ‘મેં પલ દો પલ કા શાયર હૂં’ જેવા ગીતોની ધૂન બનાવી હતી. તેમણે ઉમરાવ જાન, બાજાર, નૂરી, ફૂટપાથ, ત્રિશુલ, શોલા ઔર શબનમ, રઝિયા સુલતાન જેવી સુપરહીટ ફિલ્મો માટે સંગીત બનાવ્યું હતું. તેમને પદ્મ ભૂષણ અને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં.

ખય્યામ વિશ્વયુદ્ધ સમયે સેનામાં હતા. પણ તેમણે સેના છોડી દીધી હતી અને પોતાના સપના પૂરા કરવાની આશા સાથે મુંબઈ આવ્યા હતા. ખય્યામે 1948માં ફિલ્મ હીર રાંઝામાં શર્માજી તરીકે ફિલ્મોમાં સંગીત આપવાની શરૂઆત કરી હતી.