મુંબઈ: ભલે એક વર્ષ જેટલો સમયગાળો થવા આવશે પરંતુ હજુ ફેન્સ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના દુઃસ્વપ્નમાંથી બહાર નથી આવ્યાં ત્યાં તેના કો સ્ટારે જીંદગી ટૂંકાવી છે. ગોરેગાંવના ઘરમાં એક્ટર સંદીપ નાહરનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર એક્ટરે આત્મહત્યા કરી છે. એક્ટર સંદીપ નાહરે 'એમએસ ધોની', 'કેસરી' જેવી ફિલ્મ્સ તેમજ 'શુક્રાણું' જેવી સીરિઝમાં કામ કર્યુ હતું. સંદીપે ફેસબુક પર એક સુસાઈડ નોટ પણ શેર કરી છે. જેમાં તેણે પર્સનલ જિંદગી અને પ્રોફેશનલ લાઈફમાં પડી રહેલી મુશ્કેલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો.


સંદીપે કહ્યું છે કે "હવે જીવવાની ઈચ્છા નથી થતી. લાઈફમાં ઘણાં સુખ-દુઃખ જોયાં. દરેક વખતે પ્રોબ્લેમને ફેસ કર્યો, પરંતુ આજે હું જે સમયમાંથી પસાર થઈ રહ્યો છું એ સહનશક્તિની બહાર છે. હું જાણું છું કે સુસાઇડ કરવો એ કાયરતા છે. મારે પણ જીવવું હતું, પરંતુ જીવીને પણ શું ફાયદો, જ્યાં સુકૂન અને સેલ્ફ રિસ્પેક્ટ ન હોય?"

સંદીપે વધુમાં લખ્યું હતું કે "મારી વાઈફ કંચન શર્મા અને તેની માતા વુનુ શર્મા, જેમણે ન ઓળખ્યો કે ન જાણવાના પ્રયાસો કર્યા. મારી પત્ની હાઈપર નેચરની છે અને તેની પર્સનાલિટી અને મારી અલગ છે, જે કોઈ રીતે મેચ નથી થતી. રોજ રોજ સવાર-સાંજના ઝઘડા, મારી હવે આ સાંભળવાની તાકાત નથી. એમાં કંચનની કોઈ જ ભૂલ નથી, તેનો સ્વભાવ જ એવો છે, તેને બધું જ નોર્મલ લાગે છે, પરંતુ મારા માટે આ બધું નોર્મલ નથી."

એક્ટરે એ પણ લખ્યું કે “તેની પત્નીની સારવાર કરાવી દે. જેથી તેના જવા પછી પત્ની જેની પણ જિંદગીમાં જાય તેને તકલીફ ન પડે. એક્ટરે લખ્યું કે, 'હું મારા માતાપિતાનો આભાર માનવા માગુ છું કારણકે તેમણે મને એ બધું જ આપ્યું જે હું ઈચ્છતો હતો. મારુ એક્ટર બનવાનું સપનું પૂરું કર્યુ. હું આજે જે પણ છું તે તેમના કારણે જ છું. તમે એવું કહેશો કે તો હું તેમના માટે શા માટે નથી જીવતો. હું તેમના માટે પણ જીવતો રહ્યો હોત જો હું સિંગલ હોત. મને ખબર છે કે જીવવા માટે બહાદુરી જોઈએ પરંતુ હાલ તો હું મારા માતાપિતાની માફી માગુ છું. તે દરેક ક્ષણ માટે જ્યારે મેં તેમનું દિલ દુભાવ્યું.”