બાંગ્લા ફિલ્મોની અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં પ્રેગનન્ટ છે? બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીને નુસરતની પ્રેગનન્સી અને પતિ સાથેના સંબંધો વિશે ફેસબુક પોસ્ટ લખી છે, જેના પછી તેમના વૈવાહિક જીવન અને પ્રેગનન્સી અંગે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.


ઉલ્લેખનીય છે કે, નુસરત જહાં ગત વર્ષના અંતથી પતિ સાથે નથી રહેતી. તે નિખિલનો ફ્લેટ છોડીને બાલીગંજ ખાતે પોતાના ઘરે પરત જતી રહી હતી અને હાલ તે ગર્ભવતી હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.


તસલીમાએ ટ્વીટમાં લખ્યું હતું કે, કારણ વગર કોઈ સંબંધમાં જોડાઈ રહેવું બંને પક્ષ માટે સારી વાત નથી. માટે જો તેમના વચ્ચેના સંબંધો સારા ન હોય તો તેમણે ડિવોર્સ લઈ લેવા જોઈએ. વધુમાં કહ્યું કે, જ્યારે મેં નુસરત અને નિખિલના લગ્નના સમાચાર સાંભળ્યા ત્યારે મને ખૂબ આનંદ થયો હતો. હું સાંપ્રદાયિકતામાં વિશ્વાસ નથી રાખતી અને માટે જ જો અલગ-અલગ ધર્મના લોકોના લગ્નના સમાચાર સાંભળુ છું તો સ્વાભાવિક રીતે મારૂ મન આનંદિત થઈ જાય છે.


રિપોર્ટ અનુસાર, નુસરતના પતિ નિખિલ જૈને આ પ્રેગનન્સી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે એ બંનેનું લગ્નજીવન તૂટવાના આરે છે. રિપોર્ટ અનુસાર, નુસરત જહાંને બંગાળની ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર રહેલા યશ દાસગુપ્તા સાથેના સંબંધોના સમાચારો પણ આવી રહ્યા છે. તેઓ બંને એક ફિલ્મના શૂટિંગ વખતે મળ્યાં હતાં. બંને અનેકવાર સાથે જોવા મળ્યાં. બંને થોડા સમય પહેલાં સાથે જયપુર અને અજમેર શરીફ ગયાં હતાં. બંને એકબીજાના ઘરે અનેક વખત આવ-જા કરતાં હોય છે. નુસરતનાં માતાપિતા સાથે પણ યશના ઘણા સારા સંબંધો છે. નુસરત તૃણમૂલની સાંસદ છે જ્યારે યશ હાલ ભાજપમાં સામેલ થયા છે. સમાચારો અનુસાર, નુસરત ટૂંક સમયમાં નિખિલથી છૂટાછેડા લે એવી શક્યતા છે.



નિખિલ જૈન અને નુસરતના લગ્ન જૂન 2019માં થયાં હતાં. બંનેએ ત્યારે હિન્દુ, ઈસ્લામ અને ઈસાઈ રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. તેમના આ લગ્નને કટ્ટરપંથીઓએ સ્વીકાર્યા નહોતા. જ્યારે તેઓ સંસદમાં શપથ લેતી વખતે મંગળસૂત્ર અને સિંદૂર સાથે નજરે પડ્યાં તો તેમના વિશે અનેક કોમેન્ટ્સ થઈ હતી. એ સમયે નુસરત જહાં વિરુદ્ધ ફતવો પણ જારી કરાયો હતો.