પદ્માવતી ફેબ્રુઆરી 2018માં થઈ શકે છે રિલીઝ
મુંબઈઃ વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ પદ્માવતીના રિલીઝ પર અનેક રાજ્યોમાં પ્રતિબંધ અને કરણી સેનાના વિરોધ બાદ નિર્માતાએ તેની રિલીઝ ડેટ ટાળી દીધી હતી. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે ફિલ્મ 12 જાન્યુઆરી, 2018ના રોજ રિલીઝ થઈ શકે છે, પરંતુ તાજેતરના રિપોર્ટ્સ મુજબ ફિલ્મ જાન્યુઆરીમાં નહીં ફેબ્રુઆરીમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. રિપોર્ટ્સ મુજબ વિદેશી ડિસ્ટ્રીબ્ચુટર્સ અને અમેરિકાના થિયેટર ચેન્સને 9 ફેબ્રુઆરી 2018નું શેડ્યૂલ મોકલવામાં આવ્યું છે. જેનો મતલબ છે કે ફિલ્મ મેકર્સનો પદ્માવતીને 9 ફેબ્રુઆરીએ રિલીઝ કરવાનો પ્લાન છે. જો ફિલ્મ આ તારીખે રજૂ થશે તો મહાશિવરાત્રિ અને વેલેન્ટાઇન્સ ડે ના રૂપમાં 2 રજાનો પણ લાભ મળી જશે. દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીરસિંહ ફિલ્મના મુખ્ય કલાકાર છે.
રાજસ્થાનમાં કરણી સેના, બીજેપી લીડર્સ અને હિન્દુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે. રાજપૂત કરણી સેનાનું માનવું છેક આ ફિલ્મમાં પદ્માવતી અને ખિલજી વચ્ચે ઈન્ટિમેટ સીન ફિલ્માવવામાં આવ્યો હોવાથી તેમની લાગણી દુભાઈ છે. તેથી આ ફિલ્મ રજૂ થાય તે પહેલા રાજપૂત પ્રતિનિધિઓને બતાવવી જોઈએ.
રાજસ્થાનમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ વિરોધની શરૂઆત થઈ હતી. શૂટિંગ સમયે રાજપૂત કરણી સેનાએ અનેક જગ્યાએ પ્રદર્શન કર્યા હતા અને પૂતળા ફૂંક્યા હતા. જયપુરમાં શૂટિંગ દરમિયાન કેટલાક લોકોએ સંજય લીલા ભણશાળી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. જે બાદ કોલ્હાપુરમાં ફિલ્મનો સેટ પણ સળગાવવામાં આવ્યો હતો. આ ઘટના પછી સમગ્ર દેશમાં પદ્માવતી સામે વિરોધ વધતો ગયો.