નવી દિલ્હી: નાગરિકતા બિલને લઈને બોલીવૂડના કેટલાક સ્ટાર્સ પણ વિરોધમાં જોડાયા છે. પરિણિતી ચોપડા પણ તેમાંની એક છે.  જોકે બિલનો વિરોધ કરવાનુ પરિણામ પરિણીતીને ભોગવવુ પડ્યુ છે. હરિયાણા સરકારે પરિણીતી ચોપરાને બેટી બચાવો -બેટી પઢાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હટાવી દીધી છે.


નાગરિકતા સંશોધન બિલ પર કરેલા ટ્વિટ બાદ આ અભિયાનના એડવાઈઝર યોગેન્દ્ર મલિકે આ અહેવાલને સમર્થન આપતા કહ્યુ તુ કે, પરિણીતીને 2015માં કેટલાક સમય માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઈ હતી. હવે હરિયાણાની દીકરીઓ જ આ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર છે. જોકે કોઈ એ કહેવા માટે તૈયાર નથી કે પરિણીતીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્યારે હટાવવામાં આવી.

2015માં પણ પરિણીતીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા સામે હરિયાણાના તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે વિરોધ કર્યો હતો. બીજા નેતાઓએ પણ વાંધો ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પરિણીતીએ આ બિલના વિરોધમાં દેખાવો કરી રહેલા જામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરાયો ત્યારે ટ્વિટ કર્યુ હતુ કે, જો નાગરિકો વિચાર વ્યક્ત કરવા નિકળે અને આ જ પરિણામ આવવાનુ હોય તો આ બિલને ભુલી જઈને ભારતને લોકશાહી દેશ કહેવાનુ પણ છોડી દેવુ જોઈએ.