ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયર વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી, 19 ડિસેમ્બરે યોજાશે સુનાવણી
abpasmita.in | 14 Dec 2019 10:12 AM (IST)
તાનાજી માલસુરે મરાઠા સરદાર અને છત્રપતિ શિવાજી મહારાજના નજીકના મિત્રોમાંના એક હતા.
મુંબઇઃ 17મી શતાબ્દી પર બનેલી ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ તાનાજી માલસુરેની લાઇફ પર આધારિત છે. તાનાજી માલસુરે મરાઠા સરદાર અને છત્રપતિ શિવાજી મહારાજના નજીકના મિત્રોમાંના એક હતા. 10 જાન્યુઆરી 2020ના રોજ રીલિઝ થવા જઇ રહેલી આ ફિલ્મ પર અખિલ ભારતીય ક્ષત્રિય કોલી રાજપૂત સંઘે વિરોધ નોંધાવ્યો છે. રાજપૂત સંઘે દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મને લઇને અરજી દાખલ કરી છે. રાજપૂત સંઘનો આરોપ છે કે ફિલ્મમાં મહાન યોદ્ધા તાનાજી માલસુરેના વાસ્તવિક વંશને બતાવવામાં નથી આવ્યું. દિલ્હી હાઇકોર્ટ આ મામલામાં 19 ડિસેમ્બરના રોજ સુનાવણી કરશે. ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ અજય દેવગણની 100મી ફિલ્મ છે. ફિલ્મમાં એક્ટર અજય દેવગણ, સૈફઅલી ખાન અને એક્ટ્રેસ કાજોલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગણ છત્રપતિ શિવાજી મહારાજના મિત્ર તાનાજી માલસુરેની ભૂમિકા નિભાવી રહ્યો છે. જ્યારે રિયલ લાઇફમાં અજય દેવગણની પત્ની કાજોલ ફિલ્મમાં તાનાજીની પત્ની સાવિત્રીબાઇ માલુસરેની ભૂમિકા નિભાવશે. સૈફઅલી ખાન ફિલ્મમાં વિલન ઉદયભાન રાઠોડની ભૂમિકામા જોવા મળશે. તે સિવાય જગપતિ બાબૂ અને શરદ કેલકર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.