મુંબઈઃ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોની મદદ માટે આમ આદમીથી લઈ ઉદ્યોગપતિઓ, બોલીવુડ સેલિબ્રિટી આગળ આવી રહ્યા છે. અમિતાભ બચ્ચન, સલમાન ખાન સહિત અનેક બોલીવુડ સેલેબ્સે મદદ કરી છે. આ યાદીમાં હવે વધુ એક સ્ટારનો ઉમેરો થયો છે.


દેશના નાગરિકોને કરી અપીલ

બોલીવુડ એક્ટર અક્ષય કુમારે હુમલાને કાયરતા ભર્યું કૃત્ય ગણાવ્યું છે. હંમેશા દેશના સિપાહીઓના સપોર્ટમાં અવાજ ઉઠાવતો અક્ષય કુમાર જવાનોના પરિવારો માટે 5 કરોડ રૂપિયા દાન આપશે તેમ કહેવાય છે. ખુદ મદદ કરવા ઉપરાંત અક્ષય કુમારે દેશના નાગરિકોને  પણ મદદ માટે આગળ આવવા પ્રોત્સાહિત કર્યા છે.

ટ્વિટ કરીને શું લખ્યું અક્ષય કુમારે

તેણે ટ્વિટ કરીને લખ્યું કે, પુલવામા હુમલાને આપણે નહીં ભૂલીએ. અમે બધા ગુસ્સામાં છીએ અને આ સમય કંઈક કરી બતાવવાનો છે. તેથી હવે કાર્યવાહી કરવી જોઈએ. પુલવામાના શહીદો માટે દાન આપો. તેમને સન્માન આપો અને મદદ કરવાની આનાથી શ્રેષ્ઠ રીત કોઈ નથી.

બિગ બીએ પણ કરી મદદની જાહેરાત

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલ 40 જવાનોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમિતાભ બચ્ચને શહીદ થયેલ દરેક જવાનના પરિવારને પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે.