નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર આર માધનવ પોતાની એક તસવીરને કારણે ટ્રોલર્સના નિશાને આવી ગયો છે. જોકે આર માધવને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. આર માધવને 15 ઓગસ્ટના રોજ એક તસવીર શેર કરી હતી. તસવીરમાં આર માધવન પોતાના દીકરા અને પિતાની સાથે જોવા મળી રહ્યો છે. તસવીરમાં મંદિરમાં ક્રોસ જોવા મળે છે તેને જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.


એક યુઝરે માધવનની તસવીર શેર કરીને ક્રોસ પર સર્કલ કરીને લખ્યુ કે, 'બેકગ્રાઉન્ડમાં ક્રોસ કેમ છે? શું તે મંદીરમાં છે? તમે તમારું માન ગુમાવી દીધુ છે. શું તમે ચર્ચમાં હિન્દુ ભગવાનને જુઓ છો? આ ફેક ડ્રામા છે, જે તમે આજે કર્યો છે.'

આ ઘટના બાદ માધવને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે, 'હું ખરેખરમાં આપ સૌની પસંદની ચિંતા કરતો જ નથી. આશા છે કે તમે જલદી જ સાજા થઇ જશો. તમે તે હદે બીમાર છો કે તમને ગોલ્ડન ટેમ્પલની તસવીરનાં દેખાઇ અને પૂછ્યું નહીં કે શું હું શીખ ધર્મ અપનાવવા લાગ્યો છું?'

માધવને લખ્યું છે કે, મને તો દરગાહમાંથી પણ આશીર્વાદ મળ્યા છે અને તમામ ધાર્મિક સ્થળમાં માથુ નમાવું છું. મારા ઘરમાં તમામ ધર્મને સન્માન આપવામાં આવે છે. મને બાળપણથી જ શીખવવામાં આવ્યું છે કે, ગર્વથી પોતાની ઓળખ જાળવી રાખો. સાથે જ દરેક ધર્મનું સન્માન કરો. હું દરેક ધર્મમાં માનુ છું. મને આશા છે કે મારો દીકરો પણ મારું અનુસરણ કરશે.