નવી દિલ્હીઃ એક્ટ્રેસ અમીષા પટેલ પર ફિલ્મ ફેમિલી ઓફ ઠાકુરગંજના નિર્માતા અજય સિંહે 2.5 કરોડ રૂપિયાની ઠગાઈનો આરોપ લગાવ્યો હતો. નિર્માતાનો આરોપ છે કે અમીષા પટેલ તેને ડિજિટલ ઇન્ડિયાના એક પ્રોગ્રામ દરમિયાન રાંચીમાં મળી અને પોતાના પ્રોડક્શન હાઉસના પ્રથમ પ્રોજેક્ટ માટે નિર્માતા પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા. નિર્માતાનો દાવો છે કે આ રૂપિયા અમીષા પટેલે પોતાના પ્રોડક્શનની પ્રથમ ફિલ્મમાં લગાવ્યા હતા. અમીષાએ રૂપિયા વ્યાજ સાથે આપવાનું કહ્યું હતું.




પરંતુ, જ્યારે નક્કી સમય પર પ્રોડ્યૂસરને અમીષા અને તેના પાર્ટનરે ચેક આપ્યો હતો તે ચેક બાઉન્સ થઈ ગયો. તો આ મામલે પ્રોડ્યૂસરે અમીષા પટેલ સાથે વાતચીત કરી તો અભિનેત્રીએ પૈસા પાછા આપવાની ના પાડી ડરાવવાનું અને ધમકાવવાનું શરૂ કરી દીધુ. પ્રોડ્યૂસરનો દાવો છે કે, ત્યારબાદ તેમણે કાયદાનો સહારો લઈ અમીષા પટેલને કાયદાકીય નોટિસ મોકલી છે.



હવે આ મામલે રાંચી કોર્ટે અમીષા પટેલને સમન્સ પાઠવી 8 જુલાઈએ રાંચી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, અજય સિંહ માહી ગિલ અને જિમી શેરગિલ સ્ટારર ટુંક સમયમાં રીલિઝ થવાવાળી ફિલ્મ 'ફેમિલી ઓફ ઠાકુર ગંજ'ના પ્રોડ્યૂસર છે.