મુંબઇઃ લગભગ છ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ બોલિવૂડ઼ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરી લીધા હતા. રણવીર સિંહે કહ્યું હતું કે, લગ્ન બાદ તેની લાઇફ બદલાઇ ગઇ છે. રણવીર સિંહે કહ્યું કે, હું સમય પર જાગી જાઉં છું, સમય પર જમી લઉં છું, સમય પર કામ પર જાઉં છું અને સમય પર ઘરે આવી જાઉં છું. શોર્ટમાં કહું તો હું હવે એક સારો બાળક બની ગયો છું.


દીપિકા અને રણવીરે ઇટાલીના લેક કોમામાં લગ્ન કર્યા હતા. ત્યાંથી પાછા ફર્યા બાદ ભારતમાં ચાર રિસેપ્શન પાર્ટીઓ આપી હતી. લગ્ન બાદ રણવીર સિંહે કહ્યું કે ઇટાલીમાં લગ્ન કરવાનો નિર્ણય દીપિકા પાદુકોણનો હતો. રણવીરે કહ્યું કે, તેની જે પણ ઇચ્છા હતી તે પુરી થાય એવું હું ઇચ્છતો હતો. Husband of the Millennium બનવા તરફ આ મારો પ્રથમ પ્રયાસ હતો.

રણવીરે કહ્યું કે, લગ્ન કરવાને લઇને તેનું જે પણ સપનું હતું તે પુરુ થાય તેવું હું ઇચ્છતો હતો. તે જે પણ ઇચ્છતી હતી તે પ્રમાણે કરવામાં આવ્યું હતું. મારી ખુશી તેની ખુશીથી આવે છે. આ ખૂબ સરળ સમીકરણ છે. નોંધનીય છે કે રણવીર સિંહ હાલમાં ફિલ્મ 83ની તૈયારી કરી રહ્યો છે. રણવીર સિંહની અંતિમ ત્રણ ફિલ્મોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પદ્માવત, સિંબા અને ગલી બોય ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુ કમાણી કરી છે.