નવી દિલ્હીઃ સમગ્ર દેશને હચમચાવી નાખનાર નિર્ભયા કાંડમાં અંતે પીડિત પક્ષને ન્યાય મળ્યો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે નિર્ભયા ગેંગરેપ કેસમાં 4 દોષિતોને ડેથ વોરંટ જારી કર્યા છે. તેની સાથે જ નિર્ભયા કેસમાં ચારેય ગુનેગારોને ફાંસી નક્કી થઈ ગઈ છે. કોર્ટના નિર્ણયની જાણકારી મળ્યા બાદ સમગ્ર દેશમાં સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય લોકો સોશિયલ મીડિયા પર સતત પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે.


કોર્ટના ચૂકાદા બાદ નિર્ભયાના પિતાએ કહ્યું કે, હું આ નિર્ણયથી ખુશ છુ કેમ કે, અમને ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, પરંતુ હવે જ્યારે નિર્ભયાના મામલામાં આરોપીઓને ફાંસીએ લટકાવવામાં આવશે તો, ગુનેગારોમાં કાયદાનો ડર પેદા થશે. ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે ટ્વીટ કરી કહ્યું કે, અંતમાં ભારતની દીકરીને ન્યાય મળ્યો.



રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ટ્વીટ કરી કહ્યું કે, ન્યાય મળ્યો, નિર્ભયા કેસમાં 4 દોષિઓ પર ડેથ વોરંટ જાહેર થયા બાદ એક કડક મેસેજ સમાજમાં ગયો છે. રાજેએ આને ભારતની મહિલાઓના સશક્તિકરણ માટે સાચુ પગલું જણાવ્યું છે.


એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ ચૂકાદો આવ્યા બાદ કહ્યું કે, હું કોર્ટના નિર્ણયનું સ્વાગત કરૂ છુ. આવા હવસખોરોને જનતાની વચ્ચે ફાંસી આપવી જોઈએ. તેણે એ પણ કહ્યું કે, ફાંસી કરતા તેમને તો ઈલેક્ટ્રિક શોક ટાઈપની સજા આપવી જોઈએ અથવા તેમના શરીરના કોઈ એક અંગને કાપી નાખવું જોઈએ, ત્યારે લોકોમાં ડર ઉભો થશે. તેમણે એ પણ કહ્યું કે, કેટલા લોકોને ફાંસી આપશો? જરૂરત છે પાયાના સ્તરે ફેરફાર કરવાની.