મુંબઈઃ બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે આજે (30 એપ્રિલ)  રોજ સવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. વિવિધ શારીરિક તકલીફના કારણે તેમને 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.


ઋષિ કપૂરના પરિવારે તેમના મોત બાદ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, "આપણા સૌના પ્યારા ઋષિ કપૂર બે વર્ષ બાદ લ્યૂકેમિયા સામે લડ્યા બાદ આજે સવારે 8.45 કલાકે હોસ્પિટલમાં આપણે બધાને કાયમ માટે છોડીને જતા રહ્યા. ડોક્ટરો અને મેડિકલ સ્ટાફનું કહેવું છે કે તેઓ અંતિમ સમય સુધી મનોરંજન કરતા રહેતા હતા. પરિવાર, મિત્રો, જમવું અને ફિલ્મો હંમેશા તેમના ધ્યાનમાં રહેતા હતા અને જે પણ લોકો તેમને મળવા આવતા હતા તેઓ જોઈને દંગ રહી જતા હતા કે આખરે આ બીમારી સામે ઝઝૂમતા હોવા છતાં તેને ખુદ પર સવાર થવા દેતા નહોતા.


સમગ્ર વિશ્વમાં ફેન્સ તરફથી મોકલવામાં આવેલા પ્યારથી અભિભૂત હતા. તેમને અંતિમ દિવસોમાં એક વાત સમજાઈ ગઈ હતી કે હંમેશા હસતા અને બીજાને હસાવવા માટે લોકો મને યાદ રાખે નહીં કે આંસુઓ સાથે. અમને વ્યક્તિગત રીતે ખૂબ નુકસાન થયું છે. સાથે અમે સમજીએ છીએ કે હાલ સમગ્ર વિશ્વ ભયાનક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, અનેક પ્રકારના પ્રતિબંધો છે. અમે તેના તમામ ફેન્સ તથા ચાહકોને એક જ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ સમયમાં તમામ નિયમોનું પાલન કરે અને મૂકવામાં આવેલા નિયંત્રણોનો અમલ કરે. તેઓ પણ તેમ ઈચ્છતા હશે."

ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર, 1952ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ પૃથ્વીરાજ કપૂર પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતા રાજ કપૂર હતા. પ્રથમ ફિલ્મ મેરા નામ જોકર માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેમને ચિંટૂના નામથી ઓળખવામાં આવતા હતા. વર્ષ 2008માં ફિલ્મફેયર તરફથી લાઇફટાઇમ એચીવમેંટ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

'બોબી' ફિલ્મમાં તેમના રોલની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ઉપરાંત 'પ્રેમ રોગ', 'નગીના', 'ચાંદની' જેવી ફિલ્મોમાં તેમણે યાદગાર અભિનય કર્યો હતો.