મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની વેવાણ અને ઋષિ કપૂરની બહેન રિતુ નંદાનું નિધન થયું છે. રિતુ નંદાનું લાંબા સમયની બિમાર હતાં. ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂરે ઈન્સ્ટાગ્રામ દ્વારા આ માહિતી આપી હતી. ફુઈનો ફોટો શેર કરતાં રિદ્ધિમાએ લખ્યું હતું કે, આજ સુધી હું મારા જીવનમાં રિતુથી વધારે નમ્ર અને સભ્ય વ્યક્તિને મળી નથી. ફુઈ તમે હંમેશા યાદ આવશો RIP.

રિતુ નંદા લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહી હતી અને તેઓ 71 વર્ષના હતાં. જોકે, તેની અંતિમવિધિ ક્યારે અને ક્યાં થશે તે અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, શ્વેતા બચ્ચનના સસરા એટલે કે રિતુ નંદાના પતિ રાજન નંદાનું ઓગસ્ટ 2018માં નિધન થયું હતું.

રિતુ નંદા વિશે વાત કરીએ તો તેમણે 80ના દાયકામાં ભારતીય જીવન નિગમ (એલઆઈસી)ના એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું. તેઓ લાંબા સમય સુધી તેની સાથે જોડાયેયા રહ્યાં હતાં. ત્યાર બાદ તેમણે પોતાની એક ખાનગી વીમા કંપની પણ શરૂ કરી હતી. રિતુ નંદાએ 1969માં પ્રતિષ્ઠિત સુરક્ષા એજન્સી એસ્કોટ ગ્રુપના માલિક રાજન નંદા સાથે લગ્ન કર્યાં હતાં.


રિતુના પુત્ર નિખિલ નંદાએ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે 1997માં લગ્ન કર્યાં હતા. તેમને બે બાળકો અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી નંદા છે.