નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડી ચુકેલા બોલિવૂડ એક્ટર હવે ભાજપની ગઠબંધન પાર્ટી રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) માં જોડાઇ શકે છે. આ દાવો પક્ષના વડા અને રાજ્ય સરકારના પ્રધાન મહાદેવ જાણકર દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સંજય દત્ત 25 સપ્ટેમ્બરે તેમની પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. જોકે સંજય દત્તને આ વાતને ફગાવી દીધી છે.


સંજય દત્ત આ મામલે કહ્યું કે, હું કોઈપણ રાજકીય પાર્ટીમાં જોડાયો નથી. જાણકર મારા પ્રિય મિત્ર અને ભાઈ છે અને હું તેમને ભવિષ્યમાં પ્રયત્નો માટે શુભેચ્છા પાઠવું છું.

નોંધનીય છે કે, આ પહેલા આરએસપીના 16માં સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમમાં બોલતા રાજ્યના પશુપાલન અને ડેરી વિકાસ પ્રધાન જાણકરે કહ્યું હતું કે 'સંજય દત્તે પાર્ટીમાં જોડાવા માટે 25 સપ્ટેમ્બરની તારીખ આપી છે. અત્યારે તે દુબઈમાં છે, જ્યારે પણ તે મુંબઈમાં હશે ત્યારે તે ચોક્કસપણે અમારી પાર્ટીમાં જોડાશે. આ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે સંજય દત્ત ભાજપમાં સામેલ થઈ શકે છે, કારણ કે તેઓ જેલમાંથી છૂટા થયા બાદ ભાજપના કાર્યક્રમમાં હાજર થયા હતા, ત્યારબાદ તેમના ભાજપમાં જોડાવાના સમાચાર હતા.

આ પહેલા પણ સંજય દત્તે રાજકારણમાં હાથ અજમાવ્યો છે અને તેણે આ ઇનિંગ સમાજવાદી પાર્ટી સાથે રમી હતી. સંજય દત્ત 2009માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લખનઉથી લોકસભાના ઉમેદવાર હતા, પરંતુ કોર્ટે આર્મ્સ એક્ટ હેઠળ તેની સજાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યા બાદ તે પાછળ હટી ગયા હતા.