5 ફેરફારો સાથે રિલીઝ થશે ‘પદ્માવત’, સેન્સર બોર્ડે આપ્યું U/A સર્ટિફિકેટ
સેન્સર બોર્ડની 28 ડિસેમ્બર, 2017ના રોજ મળેલી બેઠકમાં ફિલ્મમાં જરૂરી ફેરફાર થયા બાદ તેને U/A સર્ટિફિકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશી, ઈતિહાસકાર અરવિંદ સિંહ, ડો. ચંદ્રમણિ સિંહ, ડો. કે કે સિંહ હાજર રહ્યા હતા.
નવી દિલ્હી: સંજય લીલા ભંસાલીની વિવાદિત અને ખૂબ અપેક્ષિત ફિલ્મ ‘પદ્માવતી’ હવે કેટલાક ફેરફારો સાથે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ વિરોધના કારણે 1 ડિસેમ્બરે રિલીઝ નહોતી થઈ શકી. ડિસેમ્બર 2017માં સેન્સર બોર્ડે રિવ્યુ કમિટીની કેટલીક ભલામણો સ્વીકારી હતી. 28 ડિસેમ્બરે થયેલી મીટિંગમાં કમિટીએ ફિલ્મ પર કેટલાક સલાહ સૂચન કર્યા હતા. બોર્ડનો હેતુ ફિલ્મ સાથે સંકળાયેલા વિવાદને ખતમ કરવાનો હતો. સેન્સર બોર્ડે મેકર્સને તેમાં ડિસ્કલેમર નાંખવામાં આવે, ઘૂમર ગીતમાં ફેરફાર સહિત 5 મોટા સૂધારા સુચવ્યા હતા. મોટા વિવાદોમાં સપંડાયેલી ફિલ્મ ‘પદ્માવતી’ની રિલીઝ થવાની તારીખ આવતા બોલિવૂડ જગત સહિત સિને રસિકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
રાજસ્થાનમાં કરણી સેના, બીજેપી લીડર્સ અને હિન્દુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો. રાજપૂત કરણી સેનાના કહેવા મુજબ, આ ફિલ્મમાં પદ્માવતી અને ખિલજી વચ્ચે ઈન્ટિમેટ સીન ફિલ્માવવામાં આવ્યો હોવાથી તેમની લાગણી દુભાઈ છે. તેથી આ ફિલ્મ રજૂ થાય તે પહેલા રાજપૂત પ્રતિનિધિઓને બતાવવી જોઈએ.
રાજસ્થાનમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ વિરોધની શરૂઆત થઈ હતી. શૂટિંગ સમયે રાજપૂત કરણી સેનાએ અનેક જગ્યાએ પ્રદર્શન કર્યા હતા અને પૂતળા ફૂંક્યા હતા. જયપુરમાં શૂટિંગ દરમિયાન કેટલાક લોકોએ સંજય લીલા ભણશાળી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. જે બાદ કોલ્હાપુરમાં ફિલ્મનો સેટ પણ સળગાવવામાં આવ્યો હતો.
ફિલ્મ રિલીઝની મંજૂરી માટે આ 5 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ (1) પદ્માવતીનું નામ બદલીને ‘પદ્માવત’ કરવામાં આવ્યું છે. (2) ઘૂમર ડાન્સના ગીતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. (3) ફિલ્મમાં ડિસ્ક્લેમર નાંખવામાં આવ્યું છે. આ ડિસ્ક્લેમરમાં લખવામાં આવ્યું છે કે ફિલ્મ કોઈપણ પ્રકારે સતીપ્રથાને પ્રોત્સાહન આપતું નથી. (4) ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ખોટા અને ભ્રમિત કરતાં ઐતિહાસિક સ્થળો બદલવામાં આવ્યા છે. (5) ફિલ્મમાં એક ડિસ્ક્લેમર એવું પણ ઉમેરવામાં આવ્યું છે કે ફિલ્મ ઐતિહાસિક તથ્યોની સત્યતાનો દાવો નથી કરતી.
કરણી સેનાના અધ્યક્ષનું કહેવું છે કે ફિલ્મ બતાવતી સિનેમાઘરોમાં તોડફોડ કરવામાં આવશે. અમે હજુ પણ અમારા સ્ટેન્ડ પર અડગ છીએ. લોકોની નારાજગીનો લાભ ઉઠાવીને આ લોકો તેમની ટીઆરપી વધારવા મફતની લોકપ્રિયતા લે છે. નફાખોરીની આદત પર રોક લાગવી જોઈએ.
ઉપરોક્ત ઘટના પછી સમગ્ર દેશમાં પદ્માવતી સામે વિરોધ વધતો ગયો.