નવી દિલ્હીઃ બે બેક-ટુ બેક સુપરહિટ ફિલ્મ છીછોર અને સાહો બનાવનાર બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ગત કેટલાક વર્ષોથી બિમાર છે. શ્રદ્ધા કપૂરે પોતે તેની બીમારીનો ખુલાસો કર્યો છે.


પિંકવિલાને હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં શ્રદ્ધા કપૂરે જણાવ્યું કે તેને ‘anxiety disorder’ શું છે તે વિશે ખ્યાલ પણ નહોતો. વર્ષ 2013માં ફિલ્મ ‘આશિકી 2’ બાદ શ્રદ્ધા કપૂરને આ વિશેની જાણકારી મળી. શરીરના અનેક ભાગમાં દુ:ખાવો જોવા મળતો હતો. પરંતુ, તેના કોઈ લક્ષણ જોવા મળતા નહોતા.

શ્રદ્ધા કપૂરે જણાવ્યું કે તેણે અનેક મેડિકલ ટેસ્ટ કરાવ્યા પણ ડૉક્ટરના રિપોર્ટમાં કશું જોવા મળ્યું નહીં. તેમ છતાં શ્રદ્ધા કપૂરના શરીરમાં દુ:ખાવો બંધ નહોતો થતો. આ સમસ્યાનું કારણ તેને સમજાતુ નહોતુ.

શ્રદ્ધા કપૂરે કહ્યું, “આજે પણ હું એન્ગઝાઈટી સાથે લડી રહી છું પરંતુ હવે હું તેની સાથે સંઘર્ષ કરવા માટે ઘણી સારી સ્થિતિમાં છું. તમારે માનવું પડશે કે આ તમારો ભાગ છે અને તેની સાથે પ્રેમથી વ્યવહાર કરો. તમે તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છો કે નહીં, તમારે તે સમજવાની જરૂર છે કે તમે કોણ છો અથવા તમે શું છો.

શ્રદ્ધા કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તેની આગામી ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D' હશે. આ ફિલ્મ આવતા વર્ષે 24 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. જે બાદ 6 માર્ચનાં રોજ શ્રદ્ધા અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'બાગી-3' રિલીઝ થશે. ટાઇગરે આ ફિલ્મ માટે 'કિક બોક્સિંગ', 'ક્રાવ માગા', 'કુંગ ફુ' અને 'મ્યૂ થાઇ'ની તાલીમ લીધી છે.