લખનઉઃ બોલિવૂડ સિંગર કનિકા કપૂર કોરોના વાયરસમાંથી મુક્ત થયા બાદ આજે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કનિકાનો સતત બીજી વખત કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાઈ હતી. આ પહેલા તેના ચાર વખત રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ પણ તેને સાવધાની રાખવા જણાવાયું છે. ડોક્ટર્સની સલાહ પ્રમાણે કનિકા કપૂરે તેના ઘરમાં 14 દિવસ સુધી કોરોન્ટાઈનમાં રહેવું પડશે. હોસ્પિટલમાં આઈસોલેશનમાં રહેતી વખતે કનિકા તેના પરિવાર  અને બાળકોને ઘણી મિસ કરતી હતી. તે પરિવાર અને બાળકોને વીડિયો કોલ દ્વારા વાત કરતી હતી. કનિકા ઘરે પરત ફરવાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

બોલિવૂડ સિંગર 9 માર્ચના રોજ લંડનથી મુંબઈ પરત ફરી હતી, તેના બે દિવસ બાદ તે લખનઉ ગઈ અને ત્યાં અનેક પાર્ટીઓમાં સામેલ થઈ હતી. કનિકાએ પોતાનો રિપોર્ટ પોઝિટીવ આવવાની વાતનો ખુલાસો ઈન્સ્ટાગ્રામ પર કર્યો હતો. ત્યાર બાદ દરેક જગ્યાએ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જણાવવામાં આવી રહ્યું હતું કે તેણે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી હતી.

કનિકા કપૂરની બેદરદારીને લઇને યૂપીમાં તેની વિરૂદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ છે. કનિકા કપૂર પર કોરોના વાયરસને લઈને બેદરકારી રાખવા માટે યૂપીમાં ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી હતી.